અમદાવાદ : વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં બે મિત્રની 200 મીટરના એરિયામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.આ બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાયો છે.બે હત્યામાં એકની લાશ તેના જ ઘરના રૂમમાંથી જ્યારે અન્ય એકની લાશ ખેતરમાંથી મળી આવી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,બંનેની હત્યા એક જ રીતે થઈ છે એટલે કે બંનેની છરી મારીને જ હત્યા કરાઈ છે.બીજીતરફ ત્રીજો મિત્ર ફરાર હોવાથી પોલીસને તેના પર શંકા હતી.પોલીસે હાલ હત્યારા યુવકની ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે,નશાની હાલતમાં તકરાર બાદ હત્યા કરવામાં આવી છે.
વસ્ત્રાલ વિસ્તારના આવેલા ન્યુ લક્ષ્મીનગર ખાતે કલ્પેશ શરદભાઇ હેગડે રહેતો હતો.ગુરુવારે સવારે આસપાસના લોકો કલ્પેશના ઘરમાં જતાં તે લોહી લુહાણ હાલતમાં પથારી પર પડ્યો હતો.ઘટનાની જાણ રામોલ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે,કલ્પેશને શરીર પર છ ઘા છરીના માર્યા હતા અને માથામાં બોથડ પદાર્થ માર્યો હતો. લોહી વધુ વહી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.સવારે 9.30 વાગ્યે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન મરનાર કલ્પેશના ઘરની સામેના 200 મીટરની ખુલ્લી જગ્યામાંથી બીજા એક યુવકની લાશ મળી આવી હતી.ઘટનાની જાણ થતાં બપોરે 12.30 વાગ્યે ફરી રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા રણજીતભાઇ નામના યુપીના યુવકની હત્યા કરાઈ હતી.તેને પણ 17 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા.તેનું પણ ગંભીર ઇજાઓ અને લોહી વહી જવાને કારણે મોત થયું હતું. આસપાસના લોકોની પૂછપરછમાં બંનેની હત્યા અશ્વિન ઉર્ફે ગોવિંદ વિજય નામના યુવકે કરી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
એક યુવકને છ, જ્યારે બીજાને 17 ઘા માર્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, કલ્પેશને બોથડ પદાર્થ અને છરીના છ ઘા મારી હત્યા કરવામાં આવી હતી જ્યારે રણજીતને ઉપરા છાપરી 17 ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
રણજીતે કલ્પેશની હત્યાનું કહ્યું તેથી તેની પણ હત્યા કરી
પોલીસે અશ્વિનની એક્સપ્રેસ હાઇવે પરથી ધરપકડ કરી હતી.તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બે દિવસ પહેલાં કલ્પેશ સાથે ઝઘડો થયો હતો.જેથી તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.તેની જાણ રણજીતને હતી.જોકે,રણજીતે કલ્પેશને જાણ કરી દીધી હતી.જેથી કલ્પેશની હત્યા બાદ રણજીતની પણ હત્યા કરી નાખી હતી.
વસ્ત્રાલની ચકચારી ઘટનાઃ દારૂના નશામાં યુવકે બે મિત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી

Leave a Comment

