અમદાવાદ : ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાને ઘડીઓ ગણાઇ રહી છે.જોકે,હાલ રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરથી વાતાવરણમાં પલટો આવ્યો છે.હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.આગામી બે દિવસ દરમિયાન નવસારી,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૪૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૨૯.૩ ડિગ્રી નોંધાયું હતું.દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ ૬૫ ટકા થઇ જતાં લોકો બફારાથી ત્રસ્ત થયા હતા.મોડી સાંજે અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો.અમદાવાદમાં આગામી પાંચ દિવસ ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે.હવામાન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ઉપર લો પ્રેશર સર્જાતાં વાદળછાયું વાતાવરણ થયું છે.આગામી કેટલાક દિવસ પવનની ગતિ ૧૦ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.હાલ વાતાવરણમાં ભેજ છે.પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા સિવાય વરસાદ આવે તેટલા પ્રમાણમાં નથી.