અમદાવાદ : બોગસ બિલિંગના કૌભાંડમાં નાના નાના લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેતા સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓ મોટાભાગના કેસોમાં કૌભાંડના મુખ્યસૂત્રધાર સુધી પહોંચતા જ નથી અને પહોંચી જાય તો પણ તેમની સાથેના આર્થિક સંબંધોને કારણે તેમને હાથ અડાડતા જ નથી.મોટાભાગના કેસોમાં તો તેઓ કોર્ટ પણ માન્ય ન રાખે તેવી એડવાઈઝરી નોટિસ આપીને મુખ્યસૂત્રધારો સાથે સેટિંગ કરી દે છે.તેમ જ નાના માણસોને પકડીને કૌભાંડ બહાર લાવ્યાનો સંતોષ માની લે છે.બોગસ બિલિંગના કૌભાંડ પકડનારાઓએ ખોટી રીતે ઇનપુટ ટેક્સક્રેડિટ લઈ જનારાઓ પાસેથી રિકવર કરી સરકારી તિજોરીમા ંજમા કરાવેલી રકમની વિગતો જાહેર કરવી જોઈએ.બોગસ બિલિંગના આંકડાઓ જાહેર કરાય છે,પરંતુ ઇનપુટ ટેક્સ રિકવર થઈ હોવાના કિસ્સાઓ જ નથી.
છેલ્લા ત્રણેક વર્ષમાં બોગસ બિલિંગના સંખ્યાબંધ કેસો પકડયા હોવાના એસજીેએસટીના કે સીજીએસટીના અધિકારીઓ તે કેસમાં વાસ્તવમાં કેટલી ઇનપુટ ટેક્સક્રેડિટ પાછી લાવી શક્યતા તેની જાહેરાત જ કરતાં નથી.તેમ જ તેની વિગતો આપતા પણ નથી.કેટલીકવાર તો દરોડા પાડયા પછી તે પાર્ટીના કેસ આખાને આખા દબાવી દેવાના કિસ્સાઓ પણ બને છે.અમદાવાદમાં હિમાંશુ શાહનો કેસ પણ આવો જ એક કેસ છે.તેણે પચ્ચીસથી વધુ કંપનીઓ ઊભી કરીને બોગસ બિલિંગ કર્યું છે.તેમ છતાંય તેના સુધી અધિકારીઓ પહોંચી શકતા નથી.
બીજું બોગસ બિલિંગ કરનારાઓની ૪૦ જેટલા જણોની સિન્ડિકેટ અમદાવાદ અને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં ચાલે છે.સીજીએસટી અને એસજીએસટીના અધિકારીઓ તેમની સામે પગલાં ન લેતા હોવાથી ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કેચરી સુધી તેમની વિગતો પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.બોગસ બિલિંગમાં થતાં ૧૮ ટકાની આવકમાંથી ૯-૯ ટકા રકમ બંને પક્ષો વહેંચી લેતા હોવાથી બોગસ બિલિંગમાં પકડાઈ જનારાઓ તેના મુખ્યસૂત્રધાર સુધી અધિકારીઓેને પહોંચના દેતા નથી.બોગસ બિલિંગમાં અપાતી એડવાઈઝરી નોટિસને કોર્ટ પણ માન્ય રાખતી નથી.રજની ટ્રેડર્સ,ઇરાની ટ્રેડર્સ,આહિલ ટ્રેડિંગ,ઝોયા માર્કેટિંગ નામની બોગસ પેઢીઓના નામે જીએસટી નંબર મેળવીને અંદાજે ૩૦થી ૫૦ કરોડના બોગસ બિલો બનાવ્યા હોવા છતાંય તેના સૂત્રધારને તપાસ અધિકારીઓ હાથ અડાડતા નથી.