નવી દિલ્હી : ૩૧મી મેના રોજ દેશના ૨૪ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલને લઇને મુશ્કેલી ઉભી થઇ શકે છે.પેટ્રોલ પંપ માલિકોએ ૩૧મી મેના રોજ એટલે કે એક દિવસ માટે ઓઇલ ડેપો પાસેથી પેટ્રોલ અને ડીઝલ નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે.પંપ માલિકોએ પેટ્રોલ ડીઝલ વેચવા પર કમીશન વધારવાની માગણી કરી છે.જેમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઇ જ વધારો કરવામાં નથી આવ્યો.આ નિર્ણયને પગલે ગુજરાત સહિત ૨૪ રાજ્યો પર તેની અસર જોવા મળી શકે છે.
પંપ માલિકોના આ નિર્ણયને પગલે દિલ્હી સહિત ૨૪ રાજ્યોમાં પેટ્રોલ પંપ ડીલરોએ નિર્ણય લીધો છે કે ૩૧મી મેના રોજ ઓઇલ ડેપો પાસેથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરે.જેને પગલે જે પણ રાજ્યોમાં આ નિર્ણયની અસર થશે તેમાં તામિલનાડુ,કેરળ,કર્ણાટક,આંધ્ર પ્રદેશ,તેલંગાણા,મધ્ય પ્રદેશ,પશ્ચિમ બંગાળ,બિહાર,ઉત્તર પ્રદેશ,હરિયાણા,પંજાબ,ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન,હિમાચલ પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે.આ રાજ્યોના પંપ માલિકો દ્વારા આ નિર્ણય લેવાયો હોવાથી આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની થોડા સમય માટે અછત જેવી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
પેટ્રોલ ડીઝલના ડીલરોનું કહેવુ છે કે ૨૦૧૭ બાદ પેટ્રોલ અને ડીઝલ વેચવા પર જે કમિશન મળે છે તેમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો.જ્યારે બીજી તરફ ડીલરોએ પેટ્રોલ અને ડીઝલના સંગ્રહ માટે જે વ્યવસ્થા કરવી પડે છે તેની પાછળનો ખર્ચ બેગણો વધી ગયો છે.એક સમયે જ્યારે પેટ્રોલ ૬૦થી ૭૦ રૂપિયા લિટર અને ડીઝલ ૪૫થી ૫૦ રૂપિયા લીટર મળી રહ્યું હતું તે સમયે જે કમિશન મળતું હતું તે જ હાલ મળી રહ્યું છે જ્યારે બીજી તરફ પેટ્રોલ ડીઝલની કિમત ૧૦૦ રૂપિયાને પાર જતી રહી છે.હાલના સમયે પેટ્રોલ પંપ માલિકોને પેટ્રોલ વેચવા પર પ્રતિ લિટર ૩.૮૫ રૂપિયા જ્યારે ડીઝલ વેચવા પર ૨.૫૮ રૂપિયા કમિશન મળી રહ્યું છે.આ સાથે જ એક સાથે એક્સાઇઝ ડયુટી ઘટાડવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

