બારડોલી : સુરત જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ લાખની પાક ધિરાણ લોનની વ્યાજ સબસિડીની રકમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવાની માગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને બારડોલી SDM મારફત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતોને અપાતી પાક ધિરાણ લોન ત્રણ લાખ સુધી શૂન્ય ટકાના વ્યાજે આપવાની સરકારની યોજના છે.તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા ખેડૂતો પાસે દર વર્ષે 7 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે.ગયા વર્ષે વસૂલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજી સુધી મળી ન હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.અમુક બેન્કોમાં 2 વર્ષથી ખેડૂતોના નાણાં ફસાયેલા છે.બેન્ક અધિકારીઓ રાજ્ય સરકાર દ્વારા બેન્કોને વ્યાજની રકમ ચૂકવવામાં આવી ન હોવાનું કહી હાથ ઊંચા કરી રહ્યા છે.
આવેદનપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ હોવાની મોટાપાયે જાહેરાત કરે છે પરંતુ ગુજરાતના ખેડૂતોને મીડિયાના માધ્યમથી ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ પણ આવેદનપત્રમાં લગાવવામાં આવ્યો છે.બેન્કો અને સરકારના મિસમેનેજમેન્ટને કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેન્કોમાં ફસાયેલા છે.જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતું કે,સામે ચોમાસુ ટોળાય રહ્યું હોય ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે.આ માટે ખેડૂતોને ખાતર,બિયારણ,દવા અને મોંઘું ડીઝલ ખરીદવાના પૈસાની તાતી જરૂરિયાત છે.ત્યારે સરકારે ખેડૂતોના બાકી લેણાં તરત ચૂકવી દેવા જોઈએ.દસ દિવસમાં જો ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસિડીની પૂરેપુરી રકમ જમા ન થયું તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર બનશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


