દિલ્હી : એરપોર્ટ અને વિમાનની અંદર કોરોના મહામારીની માર્ગદર્શિકા અનુસાર માસ્ક ન પહેરનારા મુસાફરો સાથે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે,આવા મુસાફરોના નામ નો-ફ્લાય લિસ્ટમાં સામેલ કરવા જોઈએ.કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે કહ્યું કે આદેશ જારી કરવામાં આવે છે,પરંતુ સમસ્યા એ છે કે જમીન પર તેનું પાલન થતું નથી.બેન્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (DGCA)ને નિર્દેશ આપ્યો કે,એરપોર્ટ અને એરક્રાફ્ટ સ્ટાફ તેમજ એર હોસ્ટેસ,કેપ્ટન-પાયલોટને માસ્ક નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવાનું કહેવામાં આવે.
હાઈકોર્ટ દ્વારા શરૂ કરાયેલ પીઆઈએલ પર બેંચે કહ્યું કે,માસ્ક નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો પર કેસ કરવો જોઈએ અને દંડ કરવો જોઈએ.ખંડપીઠે કહ્યું કે આ સંદર્ભે પગલાં લેવા જોઈએ અને ડીજીસીએ એક્શન ટેકન રિપોર્ટ 18 જુલાઈએ આગામી સુનાવણીમાં રજૂ કરે.સુનાવણી દરમિયાન ડીજીસીએ તરફથી હાજર રહેલા એડવોકેટ રંજના ગોસાઈએ બેન્ચને જણાવ્યું હતું કે,કંઈક ખાતી કે પીતી વખતે જ છૂટ આપવામાં આવે છે અને આ સંદર્ભમાં પૂરતા આદેશો જારી કરવામાં આવ્યા છે.બેન્ચે કહ્યું હતું કે,આદેશ જારી કરવામાં કોઈએ સવાલ ઉઠાવ્યો નથી,પરંતુ સમસ્યા એ છે કે એજન્સી તેને જમીની સ્તરે અમલમાં મૂકવામાં નિષ્ફળ રહી છે.