અમદાવાદ : મોદી સરકારે મોંઘવારીનો માર સહન કરી રહેલ દેશના નોકરીયાત વર્ગને વધુ ફટકો આપ્યો છે.સરકારે ગત નાણાંકીય વર્ષ માટે આજે એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ માટેનો વ્યાજનો દર નક્કી કર્યો છે જે છેલ્લા ચાર દાયકાનો સૌથી ઓછો છે.કેન્દ્ર સરકારે 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ અથવા EPF થાપણો પર 8.1% વ્યાજ દરને મંજૂરી આપી છે.જોકે આ વ્યાજ દર કેન્દ્રીય નાણા મંત્રાલયની મંજૂરી પછી સૂચિત કરવામાં આવશે અને બાદમાં જ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં જમા થાય છે.
માર્ચમાં રિટાયરમેન્ટ ફંડ બોડી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(EFPO)એ એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડની ડિપોઝીટ રકમ પરના વ્યાજ દરમાં 2021-22ના નાણાકીય વર્ષમાં 8.1%ના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડ્યો હતો,જે અગાઉના વર્ષમાં 8.5% હતો.કર્મચારી વર્ગને PF માટે ચૂકવાનો થતો આ દર 1977-78 પછીનો સૌથી ઓછો વ્યાજ દર છે.તે સમયે PF પર સરકાર 8% વ્યાજ આપતી હતી.EPFO તેની વાર્ષિક ઉપાર્જિત રકમના 85 ટકા સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ સહિત ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં અને 15 ટકા ઇટીએફ મારફતે ઇક્વિટીમાં રોકાણ કરે છે.દેવું અને ઇક્વિટી બંનેમાંથી થતી કમાણીનો ઉપયોગ વ્યાજની ચુકવણીની ગણતરી કરવા માટે થાય છે.


