નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે.તેના માટે ૨૫૦ જિલ્લાને અલગ તારવવામાં આવ્યા છે.કેન્દ્ર આ જિલ્લાઓમાં સ્થાનિક NGOs સાથે જોડાણ કરશે એવી માહિતી સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સોમવારે આપી હતી.સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે છેલ્લા આઠ વર્ષમાં લીધેલા વિવિધ પગલાંની માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,“સરકાર દેશના દરેક જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,“મંત્રાલય આવા વૃદ્ધાશ્રમ માટે સ્થાનિક NGOs સાથે જોડાણ કરી રહી છે.”મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,સરકારે યોજનાઓમાં મોટા ફેરફાર શરૂ કર્યા છે.જેમાં વિવિધ ફરિયાદોને આધારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાઈ રહી છે.ઉપરાંત, વિદ્યાર્થીઓને પહેલી વખત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સ્કીમ દ્વારા બેન્ક ખાતાંમાં સીધા જ નાણા મળી રહ્યા છે.મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે,અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ થયો છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી કુમારે જણાવ્યું હતું કે,વરિષ્ઠ નાગરિકોને રોજગારી માટે સિનિયર એબલ સિટિઝન્સ ફોર રિ-એમ્પ્લોયમેન્ટ ઇન ડિગ્નીટી(SACRED)પોર્ટલ અને નવ સ્ટાર્ટ-અપ્સની નિમણૂક કરાઈ છે.આ આઇટી પ્લેટફોર્મ રોજગારી માટે ઇચ્છુક અને રોજગારી આપનારા લોકોને મેળવી આપે છે.મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,“નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દેશભરમાં મોટા પાયે ઝુંબેશ ચાલી રહી છે.સરકાર ઝુંબેશના ભાગરૂપે ચાલુ વર્ષે ૧૦૦ જિલ્લાને‘નશા મુક્ત’કરવાની યોજના ધરાવે છે.”મંત્રીએ વૃદ્ધો,અનુસૂચિત જાતિ,અન્ય પછાત વર્ગો,દિવ્યાંગો માટે લાગુ કરાયેલી વિવિધ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.૨૦૧૧ની વસ્તી ગણતરી હેઠળ ભારતમાં ૬૦ વર્ષ અને વધુ વય ધરાવતા ૧૦.૪ કરોડ લોકો છે.જેમાં ૫.૩ કરોડ મહિલા અને ૫.૧ કરોડ પુરુષ છે.

