નવી દિલ્હી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપરાંત હવે રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીરો સાથેની ચલણી નોટ બહાર પડાશે તેવા અહેવાલોને રિઝર્વે બેંકે ફગાવી દીધા છે.આજે ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે વર્તમાન ચલણ અને બેંક નોટોમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી નથી.રિઝર્વ બેંક તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,મીડિયાના કેટલાક સમૂહોએ એવા રિપોર્ટ પ્રગટ કર્યા છે કે રિઝર્વ બેંક મહાત્મા ગાંધીની તસવીરના સ્થાને અન્ય મહાનુભવોની તસવીર વર્તમાન ચલણ અને બેંક નોટો પર મૂકવાનો વિચાર કરી રહી છે.જોકે,રિઝર્વ બેંક ભારપૂર્વક કહ્યું કે ચલણી નોટ પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
અહીંયા નોંધવું રહ્યું કે,રિઝર્વ બેંકે આ પ્રકારની સ્પષ્ટતા કેટલાક ન્યૂઝ રિપોર્ટ પછી કરી છે,જેમાં દાવો કરાયો હતો કે ટૂંક સમયમાં રિઝર્વ બેંક એ લોકોની તસવીરો ઉપયોગ કરી શકે છે,જે તસવીરો ભારતીય ચલણી નોટ પર ક્યારેય મળી નથી.આ રિપોર્ટમાં કહેવાયું હતું કે નાણા મંત્રાલય અને આરબીઆઈ કેટલાક મૂલ્યવર્ગની બેંક નોટોની એક નવી શૃંખલા પર રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામના વોટરમાર્કનો ઉપયોગ કરવા પર વિચારણા કરી રહી છે.જોકે,આ તમામ પ્રકારના અહેવાલોને રિઝર્વે ફગાવી દીધા છે.

