નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે,ભારતીય બેન્કો અને ચલણને વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ બનાવવાની જરૂર છે.
તેમણે નાણાસંસ્થાઓને ફાઇનાન્શિયલ અને કોર્પોરેટ ગવર્નન્સની ઉત્તમ પ્રણાલી માટે પ્રોત્સાહન ચાલુ રાખવા જણાવ્યું છે.મોદીએ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે નાણા મંત્રાલય અને કંપની બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સપ્તાહની ઉજવણીનું ઉદઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે,“ભારતે નાણાકીય સર્વસમાવેશિતાના ઘણા પ્લેટફોર્મ વિકસાવ્યા છે.જેના મહત્તમ ઉપયોગ માટે જાગૃતિ કેળવવી જરૂરી છે.વૈશ્વિક સ્તરે આ નાણાકીય સર્વસમાવેશિતાનો વ્યાપ વધારવા પ્રયાસ કરવો જોઇએ.”
વડાપ્રધાને જણાવ્યું હતું કે,“આપણી સ્થાનિક બેન્કો અને ચલણને વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ કેવી રીતે બનાવવો એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.”તેમણે જણાવ્યું હતું કે, “આપણે છેલ્લા આઠ વર્ષમાં દર્શાવ્યું છે કે ભારત સંયુક્ત રીતે કશું કરવાનો નિર્ણય કરે તો એ વિશ્વ માટે નવી આશા બને છે.આજે વિશ્વ આપણને માત્ર એક મોટા બજાર તરીકે નહીં,પણ સક્ષમ,ગેમ-ચેન્જિંગ, કુશળ,રચનાત્મક ઇકોસિસ્ટમ તરીકે જોઇ રહ્યું છે.”મોદીએ આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ માટે સાનુકૂળ સિક્કાની ખાસ સિરીઝ લોન્ચ કરી હતી.~૧,૨,૫,૧૦ અને ૨૦ના આ સિક્કામાં‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ડિઝાઇન હશે અને તેને રોજિંદા વપરાશ માટે જારી કરાશે.વડાપ્રધાન મોદીએ‘જન સમર્થ પોર્ટલ’પણ લોન્ચ કર્યું હતું.આ ૧૩ સરકારી સ્કીમ્સનું ક્રેડિટ-લિંક્ડ પોર્ટલ છે,જે યુવાઓ,ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને સરળ ધિરાણ નિશ્ચિત કરે છે.

