મુંબઇ : કર્ણાટકમાં હજુ થોડા સમય પહેલાં જ મુન્નાભાઈ એમબીબીએસ છાપ ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરીમાં છબરડા વાળતાં કન્નડ અભિનેત્રી ચેતના રાજનું મોત નીપજ્યું હતું.હવે બીજી કન્નડ અભિનેત્રી આવી તબીબી છબરડાનો શિકાર બની છે.અભિનેેત્રી સ્વાતિ સતીશને રુટ કેનાલ ટ્રીટમેન્ટમાં એનેસ્થેશિયાને બદલે સાલિસિલિક એસિડ આપી દેવાતાં તેનો સમગ્ર ચહેરો સોજાથી ફૂલી જઈને કુરુપ બની ગયો છે.
રુટ કેનાલ ટ્રીટમેન્ટ બહુ જ સામાન્ય ગણાય છે અને તેમાં ખાસ કોઈ જોખમ હોતું નથી.પરંતુ,બેંગ્લુરુની ઓરિક્સ ડેન્ટલ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી સ્વાતિને સપનેય ખ્યાલ ન હતો કે આ સર્જરી બાદ કદાચ તેની ફિલ્મ કેરિયર પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી હાલત સર્જાશે.સ્વાતીનો પૂરો ચહેરો કુરૃપ થઇ ગયો છે.હવે તેણે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે.સ્વાતિના ઓરિજિનલ ફેસ અને આ સર્જરી પછીના તેના ફેસના ફોટા વાયરલ થતાં ચાહકોએ ભારે આંચકો અનુભવ્યો હતો.
સ્વાતિને એનેસ્થેસિયા આપવામાં ભૂલ થયા બાદ સોજો આવી જતાં ડોક્ટરે એવો બચાવ કર્યો હતો કે આ બહુ સામાન્ય બાબત છે.બે-ત્રણ દિવસમાં આ સોજો ઉતરી જશે.પરંતુ સર્જરીના ત્રણ અઠવાડિયા પછી પણ ચહેરા પરનો સોજો ઊતર્યો નથી,અને હાલતમાં કોઇ ફરક પડયો નથી.સ્વાતિના ચહેરા પરનો સોજો ઓછો થયો નથી તેમજ દુખાવો પણ યથાવત છે.તે બીજી હોસ્પિટલમાં સેકન્ડ ઓપિનિયન માટે ગઈ હતી ત્યારે તેને આગળના ડોક્ટરે ગફલત કરી હોવાની જાણ થી હતી.સ્વાતિએ ડોકટર પર આરોપ કર્યો છે કે,તેને ટ્રીટમેન્ટ અને દવા વિશે ખોટી અને અડધી-અધૂરી જાણકારી આપવામાં આવી હતી.
હજુ થોડા સમય પહેલાં જ કન્નડ અભિનેત્રી ચેતના રાજનું લેભાગુ ડોક્ટર દ્વારા સર્જરીને કારણે મોત નીપડયું હતું.ચેતના ચરબી ઘટાડવાની સર્જરી માટે હોસ્પિટલમાં ગઈ હતી પરંતુ તે હોસ્પિટલ વાસ્તવમાં આ પ્રકારની સર્જરી માટે માન્યતા ધરાવતી જ ન હતી.હોસ્પિટલ સામે પોલીસ કેસ પણ થયો હતો અને કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે પણ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી.