મુંબઈ : ભાજપ હાલ સરકાર રચવા માટે સામે ચાલીને દાવો કરવા માટે રાજ્યપાલ તરફથી ઔપચારિક આમંત્રણની રાહ જોશે એમ જાણવા મળે છે.મહાવિકાસ આઘાડી સરકારના પતન પછી વિધાનસભાને બરખાસ્ત કરવાની ભલામણ ઠાકરે સરકાર તરફથી કરવામાં આવી શકે છે,પરંતુ લઘુમતી સરકારની ભલામણ રાજ્યપાલને બંધનકારક નથી.અન્ય રાજકીય પક્ષો સરકાર બનાવી શકે છે કે કેમ તે વિકલ્પ ચકાસવાની સત્તા રાજ્યપાલ પાસે છે.આ સંજોગોમાં ભાજપ રાજ્યપાલ તરફથી સૌથી મોટા પક્ષ તરીકે આમંત્રણની રાહ જોશે.
એકનાથ શિંદે સાથેના ધારાસભ્યા પાછા નહીં ફરે તે નક્કી થઈ જતાં જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાનો નિર્ણય લેશે.શિવસેનાના નેતાઓ દ્વારા ધારાસભ્યોને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ એવો મત વ્યક્ત કર્યો છે કે રાજીનામું આપતા પહેલા મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલને વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ કરવી જોઈએ અને મધ્યસત્ર ચૂંટણીનો સામનો કરવો જોઈએ.પરંતુ લઘુમતી સરકારની ભલામણ રાજ્યપાલને બંધનકારક નહી હોવાથી અને તે મુજબ કાર્ય કરવું શક્ય ના હોવાથી તેનો કોઈ ફાયદો થશે નહીં.
સરકારના પતન પછી રાજ્યપાલે અન્ય પક્ષો સરકાર બનાવી શકે છે કે કેમ તેની ચકાસણી કરવાની હોય છે.સૌથી વધુ ૧૦૬ ધારાસભ્યો ધરાવતા ભાજપને રાજ્યપાલ સરકાર બનાવવા માટે બોલાવશે.તે સમયે,એકનાથ શિંદે તરફી ધારાસભ્યો અને અપક્ષોનું જૂથ રાજ્યપાલને સમર્થન પત્રો રજૂ કરશે અને ભાજપ સત્તાનો દાવો કરશે એમ વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
ભાજપના નેતાઓએ કહ્યું હતું કે અમે મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવીશું નહીં,તે આંતરવિગ્રહને કારણે પડી જશે.તેથી ભાજપના વરિષ્ઠ નેતાઓની ભૂમિકા એવી છે કે રાજ્યપાલના આમંત્રણ પછી સત્તાનો દાવો કરવો યોગ્ય રહેશે જેથી જનતાને મધ્યસત્ર ચૂંટણીનો સામનો ન કરવો પડે.
જોકે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,પરંતુ તેઓ હાલ પોતાનું કામ કરી શકે છે.તેમને પત્રો પહોંચાડવાનું શક્ય છે.તેઓ બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મેળવ્યા પછી પણ નિર્ણય લઈ શકાય છે.સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની ગવર્નરશીપ અન્ય રાજ્યપાલેને સોંપવાની કોઈ યોજના નથી.તેથી રાજ્યપાલના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.ભાજપને સત્તામાં આવવાની ઉતાવળ નથી તેમ નેતાઓએ જણાવ્યું હતું.


