અમદાવાદ : શહેરના વેજલપુરમાં રહેતા અને એલઆઇસીમાં આસીટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ કુરીયર કંપનીના પાર્સલ અંગે ઇન્કવાયરી કરવા માટે ગુગલ પરથી કુરીયર કંપનીનો નંબર મેળવ્યો હતો.જેના પર પુછપરછ કરતા ગઠિયાએ પાર્સલ છોડાવવાના નામે લીંક મોકલીને રૂપિયા ૧.૧૯ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર સેલમાં નોંધવામાં આવી છે..વેજલપુર બકેરી સીટી સનાતન રેસીડેન્સીમાં રહેતા મનોજભાઇ ગુનાવત સેટેલાઇટમાં આવેલી એલઆઇસીની કચેરીમાં આસીટન્ટ બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
તેમનાબેંક એકાઉન્ટ પેટીએમથી સાથે જોડાયેલા છેે અને તે નિયમિત ઉપયોગ કરે છે.રાજસ્થાન કોટાથી કામધેનું કુરીયરમાં તેમનું એક પાર્સલ આવવાનું હતું.પણ તે ન આવતા મનોજભાઇએ ગુગલ પરથી કામધેનું કુરીયરનો નંબર સર્ચ કરીને કોલ કર્યો હતો.ત્યારે સામે વાત કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે કોઇ કારણસર કુરીયર હોલ્ડીંગ પર છે અને જો તે છોડાવવું હોય તો લીંક પર વેરીફિકેશન કરીને પાંચ રૂપિયા ઓનલાઇન ભરવા પડશે.જેથી મિનોજભાઇ લીંક પર વિગતો ભરી હતી અને પાંચ રૂપિયા ભરવા માટે પે ટીએમનો પાસવર્ડ એન્ટર કર્યો હતો.પરંતુ,તેમાં ટ્રાન્ઝેકશન ફેઇલના મેસેજ આવ્યા હતા.આ દરમિયાન બેંક એકાઉન્ટમાંથી કુલ ૧.૧૯ લાખ કપાઇ ગયા હતા.જે અંગે છેતરપિંડી થયાની ફરિયાદ તેમણે સાયબર સેલમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


