ગુવાહાટી : તા.25 જુન 2022,શનિવાર : મહારાષ્ટ્ર સરકાર સામે સંખ્યાબળ સિદ્ધ કરવાનું સંકટ ઊભું થયું છે ત્યારે પક્ષના વડા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે.શુક્રવારે ઠાકરેએ એવું નિવેદન કર્યું હતું કે જે લોકોને પક્ષ છોડવો હોય એ જઈ શકે છે,પોતે શિવસેનાને ફરીથી બેઠી કરશે.ત્યારે,આજે એકનાથ શિંદેએ ટ્વીટ કરી એક પત્રમાં મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડા સમક્ષ ફરિયાદ કરી છે કે રાજ્ય સરકારે,ગેરકાયદેસર રીતે પક્ષના ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પરત ખેંચી તેમના જીવ ઉપર જોખમ ઉભુ કર્યું છે. શિંદેએ બે પાનાંના પત્રમાં 38 ધારાસભ્યોની સહી જોડી છે અને આ પત્ર શિવસેના વિધાનસભા દળના લેટર હેડ ઉપર લખ્યો છે.

