અમદાવાદ : અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈને માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરની પોલીસ એલર્ટ છે ત્યારે જ 17મી જૂનના રોજ બપોરે 3:30 વાગ્યે ઓઢવ છોટાલાલની ચાલીમાં આવેલી પી.એમ.આંગડિયા પેઢીમાં હથિયારધારી ધાડપાડુઓ ત્રાટક્યા હતા.લૂંટારુએ પિસ્તોલ અને છરીથી આંગડિયા પેઢીના કર્મચારીઓને બાનમાં લઇ 54 લાખ રૂપિયાની દિલધડક લૂંટ ચલાવી હતી.ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઓપરેશન પાર પાડીને ચાર લૂંટારાને ઝડપી લીધા છે અને તેની પાસેથી 20 લાખ કબજે કર્યા છે.જો કે હજુ ત્રણ લૂટારુઓને પકડાવાના બાકી છે.
આ અંગે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ ગુનાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અનેક એસઓજી સહિતની એજન્સીઓ પણ કામે લાગી ગઈ હતી.લુંટારુ એક બાઈક મૂકીને ભાગ્યા હતા જેના આધારે તપાસ કરતા તે બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ આંગડિયા પેઢીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર લૂંટની ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી.આ ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દર્શનસિંહ બારડ,નિખિલ બ્રહ્મભટ્ટની ટીમો ગુનેગારોને ઝડપી લેવા કામે લાગી ગઈ હતી.સંખ્યાબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આખરે લૂંટારા લૂંટ કરીને ભાગ્યા બાદ રસ્તામાં બાઈક છોડી દીધાનું અને રિક્ષામાં બેસીને અમદાવાદ બહાર ગયા હોવાનું જાણી શકાયું હતું.
ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આખરે એક કડી મળી કે લૂંટારા અમદાવાદથી લૂંટ કરીને બાવળા નજીક કેરાળા જીઆઇડીસીમાં ગયા હતા.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે શોધી કાઢ્યું કે બાડમેરના કેસરસિંહની આગેવાનીમાં લૂંટ થઈ હતી અને લૂંટારા હાલ કેસરસિંહના ગામમાં જ છે.તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમ બાડમેર કેસરસિંહના ખેતરમાં પહોંચી ગઈ હતી અને કેસરસિંહ સહિત 4 લૂંટારાને ઝડપી લેવામાં સફળતા મળી છે.તપાસ દરમિયાન આ ગેંગના મોટા કારનામાં સામે આવે તેવી સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જીવના જોખમે લૂંટારાને ઝડપી લેતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીક અને એસીપી ડી.પી.ચૂડાસમા અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી.


