મુંબઈ : મહારાષ્ટ્રનાં રાજકીય નાટક પર પડદો ક્યારે પડે છે તે અંગે લોકોમાં જિજ્ઞાાસા જાગી છે પરંતુ હવે નવા ઘટસ્ફોટો અનુસાર ઉદ્ધવે ગઈ તા.૨૧મી જૂને જ રાજીનામું ધરી દેવાનું નક્કી કરી લીધું હતું. જોકે,એનસીપીના સુપ્રીમો શરદ પવારે છેલ્લી ઘડીએ ઉદ્ધવને એમ હથિયાર હેઠાં નહીં મૂકવા જણાવ્યું હતું અને તેને કારણે ઉદ્ધવે રાજીનામાંનું માંડી વાળતાં સમગ્ર તમાશો વધારે લંબાઈ ગયો છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે તા. ૨૦મી જૂને મતદાન યોજાયું હતું.તે દિવસે બપોર પછી જ બળવાખોર નેતા એકનાથ શિંદેના વડપણ હેઠળ ધારાસભ્યોએ સુરતની વાટ પકડવા માંડી હતી.તા.૨૧ મીની સવાર સુધીમાં તો સ્પષ્ટ થઈ ચૂક્તું હતું કે શિવસેનાના બહુમતી ધારાસભ્યોએ બગાવત કરી છે અને ઉદ્ધવ ઠાકરે સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.પગ હેઠળથી ધરતી ખસી ચુકી હોવાના અહેસાસ સાથે ઉદ્ધવને ખ્યાલ આવી ગયો હતો કે હવે રાજીનામાં સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.શિવસેનાના જ બહુ અંગત અને વિશ્વાસુ ગણાતા સાથીઓએ બળવો પોકારતાં તેઓ વધારે વ્યથિત થઈ ગયા હતા.
જોકે,આ વખતે સમગ્ર સીનમાં પવારની એન્ટ્રી પડી હતી.પવારે તેમને સમજાવ્યા હતા કે આ એકલી શિવસેનાની સરકાર નથી પરંતુ શિવસેના,એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીની સંયુક્ત સરકાર છે. એમ શિવસેનાના ધારાસભ્યો બળવો કરે એટલે સમગ્ર આઘાડી સરકારનો ભોગ ધરાવી દેવાય નહીં.પવારે તેમને એમ પણ કહ્યું હતું કે જો તમે મક્કમ રહેશો તો શક્ય છે કે બળવાખોર છાવણીમાં ગયેલા કેટલાક ધારાસભ્યોને પાછા લાવી શકશું.પરંતુ,જો તમે જ વળતી લડત આપવાના મૂડમાં નથી એવો મેસેજ જશે તો શિવસેનાના હજુ વાડ પર બેઠેલા ધારાસભ્યો પણ બળવાખોર છાવણીમાં જતા રહેશે.આ સંતલસ દરમિયાન જ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કાનૂની તજવીજ સહિતની વ્યૂહરચના ઘડાઈ હોવાનું માનવામાં આવે છે.એક દાવા અનુસાર ઉદ્ધવ ઠાકરે અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તથા આ ઓપરેશન લોટસના સૂત્રધારો પૈકીના એક દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પણ બેઠક થઈ હતી.તેમાં ઉદ્ધવે ફડણવીસને ગઈ ગૂજરી ભૂલી જઈ સમાધાન માટે દાણો ચાંપી જોયો હતો.જોકે,સમગ્ર વાત કદાચ ફડણવીસના એકલાના બસમાં ન હતી એટલે આ બેઠકનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું ન હતું.
૨૧મીએ પવારે ઉદ્ધવને અટકાવ્યા પછી ફરી તા.૨૨મીએ પણ ઉદ્ધવે રાજીનામુ આપી દેવાનું વિચાર્યું હતું.૨૨મીએ મંત્રીમંડળની બેઠકમાં સરકાર રાજીનામું આપે અને વિધાનસભા વિસર્જનનો ઠરાવ કરે તેવી વ્યૂહરચના પણ એક તબક્કે વિચારાઈ હતી.તે જ દિવસે સાંજે તેમણે ફેસબૂક લાઈવમાં જ રાજીનામાંની ઘોષણા કરવાનું વિચાર્યું હતું પરંતુ પવારે તેમને અટકાવ્યા હતા અને લડત આપ્યા વિના મેદાનમાંથી નહીં ખસવા જણાવ્યું હતું.


