મુંબઈ : તા.08 જુલાઈ 2022,શુક્રવાર : મહારાષ્ટ્રમાં શિવસેનાના ગઢના કાંગરા ખરતા નજર આવી રહ્યા છે.એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ મહારાષ્ટ્રની સત્તા ગુમાવી છે.ત્યારે હવે તેના હાથમાંથી એક એક કરીને નગર નિગમો અને નગર પાલિકાઓ પણ સરવા લાગ્યા છે.કલ્યાણ ડોંબિવલી નગરપાલિકામાં શિવસેનાના 55 કોર્પોરેટર્સે એકસાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીમને સમર્થન જાહેર કર્યું છે.આ તરફ સુપ્રીમ કોર્ટે આગામી 11 જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરેની ટીમ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી માટે તૈયારી દર્શાવી છે જેમાં એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવાને પડકારવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં શિવસેના માટે આ મોટો ઝાટકો કહી શકાય.ગુરૂવારે થાણે નગર નિગમમાં શિવસેનાના 67 પૈકીના 66 કોર્પોરેટર્સ એકનાથ શિંદેની ટીમમાં જોડાયા હતા અને આજે સવારે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટર્સે એકનાથ શિંદેને મળીને સમર્થન જાહેર કર્યું હતું.મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મુંબઈ,થાણે,નવી મુંબઈ,કલ્યાણ ડોંબિવલી,ઉલ્હાસનગર,મીરા ભાયંદર,વસઈ વિરાર,પનવેલ તથા ભિવંડી નિઝામપુર જેવા 9 મહત્વપૂર્ણ નગર નિગમો છે.એકનાથ શિંદે થાણેમાં વર્ચસ્વ ધરાવે છે અને હવે તેમણે 3 નગર નિગમ પર મજબૂત પકડ બનાવી છે.આગામી સમયમાં આ આંકડો હજુ પણ ઉંચો જઈ શકે છે.