અમદાવાદ : લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અમદાવાદ ઉપર અંતે મેઘકૃપા થતાં શુક્રવારે સવારે છથી બપોરના ચાર કલાક સુધીમાં ઉસ્માનપુરા વિસ્તારમાં નવ ઈંચ તો ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ થતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.શાહીબાગ ઉપરાંત અખબારનગર,પરિમલ તથા મિઠાખળી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે તંત્ર તરફથી બંધ કરવામાં આવ્યા હતા.વરસાદી પાણીનો નિકાલ થતાં ફરી આ તમામ અંડરપાસ ટ્રાફિક માટે ફરી ખોલવામાં આવ્યા હતા.શહેરમાં મોસમનો સરેરાશ કુલ વરસાદ બપોરે ચાર કલાક સુધીમાં ૫.૧૫ ઈંચ નોંધાવા પામ્યો છે.સ્માર્ટ સિટીના કહેવાતા વિકાસનો ફુગ્ગો ફૂટી જતા લોકોએ તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
શહેરમાં શુક્રવારે બપોરે એકથી ચાર કલાક સુધીના ત્રણ કલાકમાં ખાબકેલા ભારે વરસાદે તમામ વિસ્તારોને ઘમરોળતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ થઈ ગયુ હતું.સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની પોલ ખોલતા પડેલા વરસાદને પગલે શહેરના પાલડી,નવરંગપુરા, આશ્રમ રોડ ઉપરાંત સરખેજ,જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.બોપલ, સેટેલાઈટ સહિતના વિસ્તારથી લઈ મેમનગર,ગુરુકુળ સહિત ઉપરાંત છેક એસ.જી.હાઈવે સુધીના વિસ્તારમાં વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી હતી.અનેક સોસાયટીઓ અને મકાન સુધી વરસાદી પાણી ફરી વળતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
કહેવાતા વિકાસ મોડલને વરસાદે ધોઈ નાંખતા લોકોને પડેલી હાલાકીને પગલે તંત્ર અને સત્તાધીશો સામે જે તે વિસ્તારના રહીશોએ આક્રોશ વ્યકત કર્યો હતો.વસ્ત્રાપુર,માનસી સર્કલ જેવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.શાહીબાગ ઉપરાંત અખબારનગર,પરિમલ તથા મિઠાખળી અંડરપાસમાં અંદાજે બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા હતા.રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા.મકરબા અંડરબ્રીજમાં પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ સર્કલ ઉપરાંત ગુરુકુળ તેમજ મેટ્રો રેલના સમગ્ર રુટ ઉપરના રોડ ઉપરથી પસાર થતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા.શહેરનું માધુપુરા માર્કેટ તળાવમાં ફેરવાઈ ગયું હતું.


