નવસારીમાં સાડાસાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને પૂર્ણા નદીનાં પાણી શહેરમાં ફરી વળતાં નવસારી જિલ્લામાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોનાં સ્થળાંતર કરાયાં,અનેક લોકોને એનડીઆરએફ અને સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા
દક્ષિણ ગુજરાતના નવસારી શહેર પર ગઈ કાલે આકાશી અને પૂર્ણા નદીનાં પૂરની બેવડી આફતથી જનજીવન પ્રભાવિત થયું હતું અને શહેર જળબંબાકાર બની ગયું હતું.ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધી નવસારીમાં સાડાસાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.બીજી તરફ પૂર્ણા નદીમાં આવેલાં પૂરનાં ધસમસતાં પાણી શહેરમાં ફરી વળતાં નવસારી શહેર અને જિલ્લામાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોનાં સ્થળાંતર કરાયાં હતાં.નવસારી શહેરમાં ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને એનડીઆરએફની સાથે સુરત ફાયર અને ઇમર્જન્સી સર્વિસના જવાનો પણ મદદે દોડી આવ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા દરદીઓ સહિત ઘણા બધા લોકોને એનડીઆરએફ અને સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
નવસારી શહેરમાં બુધવારે રાતથી જ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને નદીમાં જળસ્તર વધતું જતું હતું.બીજી તરફ ગઈ કાલે સવારથી જ નવસારીમાં ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. સવારે ૧૦થી ૧૨ વાગ્યાના બે કલાકમાં નવસારીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો,જ્યારે ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી સાડાસાત ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.સુરત ફાયર અને ઇમર્જન્સી સર્વિસના ચીફ ફાયર ઑફિસર બી.કે.પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘નવસારીથી અમને કૉલ મળતાં અમારા ૭ જવાનોની એક ટીમ બચાવ-કામગીરી માટે એક બોટ,રેસ્ક્યુ રિંગ,જૅકેટ,ફાયર ફાયટર સહિતનાં સાધનો સાથે નવસારી પહોંચી ગઈ હતી અને કાલિયાવાડી સહિતના વિસ્તારોમાંથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરીને સાંજ સુધી અંદાજે ૫૦થી ૬૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.’
નવસારીના ઝવેરી રોડ પર રહેતા પ્રશાંત પારેખે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘એક તો અનરાધાર વરસાદ,બીજી તરફ ઉપરવાસમાં વરસાદ,પૂનમ આવી એટલે દરિયો પાણી નથી લેતું અને શહેરમાં ડ્રેનેજના ઇશ્યુ છે એટલે નવસારીમાં આ મુશ્કેલી સર્જાઈ છે.ડ્રેનેજની પ્રોપર સફાઈ થઈ નથી અને બીજી તરફ પુષ્કળ વરસાદ પડ્યો.અમારી સોસાયટીમાં પાંચ-છ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે અને ઘરમાં પણ પાણી ભરાયાં છે.એ પાણી ઊતરે એની રાહ જોઈ રહ્યાં છીએ.’


