જૂનાગઢ : ગાંધીના ગુજરાતમાં દારુબંધીનો અમલ માત્ર કાગળ પર જ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.ચૂંટણીના સમયમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જૂનાગઢ જિલ્લામાં કેફી પીણું પીવાથી બે લોકો મોતને ભેટ્યાં છે,પરંતુ પોલીસે લઠ્ઠાકાંડનો ઈનકાર કર્યો છે.આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યાં છે.
હકીકતમાં જૂનાગઢ શહેરના ગાંધી ચોક વિસ્તારમાં સોમવારે સાંજે બે ઑટો રિક્ષા ડ્રાઈવર રફિક ઘોઘારી અને ભરત પિઘડિયાએ શંકાસ્પદ કેફી પીણું પીતા તેમની તબીયત લથડી હતી.જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બન્નેના મોત નીપજ્યાં હતા.ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે જ આ ઘટના સામે આવી છે.જેના પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપને ઘેરતા જણાવ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી નશામાં.ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાલે ઝેરીલો દારુ પીવાથી ફરીથી લોકોના મોત થયાં છે.એક તરફ નામ માત્રની દારુબંધી અને બીજી તરફ દારુ અને ડ્રગ્સથી લોકો મોતને ભેટી રહ્યાં છે.રોજગારની જગ્યાએ ઝેર આપી રહી છે સરકાર.આજ ભાજપનું ગુજરાત મૉડલ છે. ગાંધી-સરદારની ભૂમિને નશો થઈ ગયો છે.જૂનાગઢમાં બે લોકોના મોત અંગે એડિશન DGP પાંડિયને જણાવ્યું કે, બન્ને રિક્ષા ચાલકોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા,પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.તેમના પોસ્ટમોર્ટમમાં મૃતકના વિસેરામાં ઝેરીલો પદાર્થ એકઠો થયો હોવાનું જાણવા મળ્યું હતુ.અમે તાત્કાલીક તે પદાર્થને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે.જેમાં ઈથેનૉલ અને સાઈનાઈડ મળી આવ્યું છે.જેમાં મિથેનૉલ નહતુ.
જેનો અર્થ છે કે, બન્નેએ દારુ પીધા પહેલા તેમાં ઝેરનું મિશ્રણ કર્યું હશે.હવે તપાસ કરવામાં આવી રહી છે કે, મૃતકોને ઝેરી પીણું કોઈ પહોંચાડ્યું.અમે છેલ્લા 3 દિવસમાં મૃતકોની અવરજવર અને તેમના મોબાઈલ ફોનની કૉલ ડિટેલ્સને ટ્રેક કરવા માટે સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરીશું.