હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશ તમામ દેવતાઓમાં સૌથી પહેલા પુજાય છે.તેમને બુદ્ધિ,શક્તિ અને વિવેકના દેવતાનો દરજ્જો મળ્યો છે.ભગવાન ગણેશ તેમના ભક્તોના તમામ અવરોધો દૂર કરે છે,તેથી જ તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે.ભગવાન ગણેશ માટે કરવામાં આવતા ઉપવાસોમાં સંકટ ચોથ ખુબ જ મહત્ત્વની ગણાય છે.મંગળવારના રોજ આવતી હોઇ આ ચોથને અંગારિકા ચોથ પણ કહેવાય છે.આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને પરિવારની સલામતી માટે ઉપવાસ કરે છે.આ વ્રત રાત્રે ચંદ્રના દર્શન પછી જ ખોલવામાં આવે છે.આવતીકાલે 10 જાન્યુઆરીના રોજ વર્ષની પહેલી અંગારિકા ચોથ છે.એવું કહેવાય છે કે અંગારિકા ચોથ કરવાથી 21 ચોથ કર્યાનું પુણ્ય મળે છે.
વ્રત કરનાર આટલુ ધ્યાન રાખે
સંકટ ચોથનું વ્રત કરતી વખતે મહિલાઓએ ભૂલથી પણ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ.હિંદુ ધર્મમાં પૂજા કે શુભ કાર્યો દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો.આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરવો જોઇએ.આવા રંગો ધારણ કરવા શુભ અને ફળદાયી હોય છે.સંકટ ચોથની પૂજા દરમિયાન ભગવાન ગણેશને ભૂલથી પણ તુલસીના પાન ન ચઢાવો.દંતકથા અનુસાર, ભગવાન ગણેશ દ્વારા તુલસીને શ્રાપ આપવામાં આવ્યો હતો અને તેમની પૂજામાં તુલસીના પાન ચઢાવવાનો ઇનકાર કર્યો હતો.ગણેશજીને પ્રસન્ન કરવા માટે દુર્વા ચઢાવો.
અંગારિકા ચોથ વ્રત 2023 ચંદ્રોદય સમય
સંકટ ચોથના દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે અને રાત્રે પૂજા કરવામાં આવે છે.આ દિવસે ચંદ્ર 8:41 કલાકે ઉદય પામશે.આ દરમિયાન ચંદ્રની પૂજા કરવામાં આવશે અને તે પછી પારણા કરીને વ્રત પૂર્ણ કરવામાં આવશે.આખા દિવસનો ઉપવાસ ચંદ્રના દર્શન પછી ખોલવામાં આવે છે.
અંગારિકા ચોથ કેમ છે ખાસ?
આ દિવસે ભગવાન ગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવવાથી આર્થિક તંગી દુર થાય છે.ભગવાનને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ આખા ઘરમાં વહેંચો.જો તમને તમારી મહેનતનું ફળ પ્રાપ્ત ન થતુ હોય તો શ્રી ગણેશના મંત્રોનો જાપ કરો.ઓમ ગં ગણપતે નમછનો 11 વખત જાપ કરો.દરેક મંત્ર સાથે પુષ્પ અર્પિત કરો.એક પાન પર હળદરથી સ્વસ્તિક બનાવો અને તેના પાનને ભગવાન ગણેશને અર્પિત કરો.તેનાથી કષ્ટ દુર થાય છે.