– માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી
– સમગ્ર ગુજરાતમા અત્યારસુધી પોલીસે 2389 લોકદરબાર યોજાયા
અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2023 શુક્રવાર : રાજ્યમાં વ્યાજખોરો સામે ગૃહ વિભાગે રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવ યોજી હતી.આ ડ્રાઈવ હેઠળ રાજ્યભરમાં લોકદરબાર યોજવામાં આવ્યા હતા.જેમા વ્યાજખોરોથી પીડિત લોકોએ પોતાની આપવીતી જણાવી હતી. તેના આધારે પોલીસ તંત્રએ 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી એટલે કે 27 દિવસની અંદર કુલ 847 એફઆઈઆર નોંધી 1 હજાર 481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે.તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.
રાજયમાં કુલ 847 એફઆઈઆર દાખલ કરવામાં આવી
પોલીસે 5મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજયમાં કુલ 847 એફઆઈઆર દાખલ કરી 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે.તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.આ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2 હજાર 389 લોકદરબાર યોજવામાં આવ્યા છે.લોકદરબારમાં કુલ 14 હજાર 619 પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ 1 લાખ 29 હજાર 488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા.આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઈ છે.રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે.
પોલીસ હવે જરૂરિયાત મંદોને લોન અપાવશે
આ ઉપરાંત તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધિક્ષકો દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરૂરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રીયકૃત બેન્કો/સહકારી બેંકોના પ્રતિનિધીઓ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જિલ્લાના મુખ્યમથક ખાતે જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.