– આરોપીઓના મોબાઈલ,બેંક ખાતા અને તેણે વાંધાજનક સાહિત્ય કોને આપેલુ,તેની તપાસ જરૂરી – એટીએસ
– એટીએસે આરોપીઓના વધુ 20 દિવસના રિમાન્ડ આપવા માગ કરેલી
અમદાવાદ: આતંકવાદી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ચાર આરોપીઓ (મોહમ્મદ સોજીદમિયાં અહેમદઅલી ફકીર,જહાંગરી ઉર્ફે અઝરુલ ઈસ્લામ કફીલુદ્દીન અન્સારી,મુન્નો ખાલીદ અન્સારી અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિન ઉલ ઝુલહાસઉદ્દીન)ના વધુ છ દિવસના રિમાન્ડ મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ એમ.એ.મકરાણીએ મંજૂર કર્યા છે.આ ચારેય આરોપીઓ પર આરોપ છે કે તેઓ બાંગ્લાદેશમાં અલકાયદા સંગઠન સાથે સંકળાયેલા લોકોના ઈશારે ગુજરાતના યુવાનોને અલકાયદા સાથે જોડવાની કામગીરી કરતા હતા.
સુનાવણી દરમિયા સરકારની રજૂઆત હતી કે આ આરોપીઓને ભારતમાં ઘુસાડવા માટે ત્રિપુરાના જ્યોર્જ અથવા જોજમિયાં,જીબોન અને નિતાઈબર્મન દાદા નામના વ્યક્તિએ મદદ કરેલી છે.આરોપીઓની વિવિધ બાબતો અંગે તપાસ કરવાની છે, જેમ કે આરોપીઓ બાંગ્લાદેશના નાગરિક છે અને તેઓ વર્ષ 2017થી બાંગ્લાદેશના અલકાયદા સંગઠન સાથે સંકળાયેલા છે,તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા હતા ત્યારે તેમની સાથે અન્ય કેટલા લોકો ભારતમાં ઘુસ્યા છે, કેટલી રકમ બાંગ્લાદેશના અલકાયદા સંગઠનને મોકલી છે.અમદાવાદમાં ક્યાં લોકોએ તેમને મદદ કરી છે,ભારતમાં કોઈ પણ પ્રકારની આતંકવાદી કૃત્યને અંજામ આપવાનુ આયોજન છે કે નહીં,અન્ય કેટલા ગુનામાં તેઓ આરોપી છે,ધંધુકામાં જ્યાં કામ કરતા હતા,ત્યાં બે વ્યક્તિના બ્રેઈન વોશ કરેલા તેમાંથી એક વ્યક્તિની શોધ ચાલુ છે.ભારતના બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવવામાં કોણે મદદ કરી,આરોપીઓ અમદાવાદ અને પંજાબના લુધિયાણામાં રહ્યા છે,તો ત્યાં તપાસ કરવાની છે,આરોપીઓએ તેમની પાસે રહેલ અલકાયદાના વાંધાજનક સાહિત્ય કોને કોને આપેલ છે.આરોપીઓના મોબાઈલ,તેમના બેંક ખાતા અને બેંક વહેવારોની તપાસ કરવાની છે.આ ઉપરાંત આરોપીઓ પાસેથી મળેલ ચોપડામાં 60થી 70 લોકોના ટૂંકા નામ અને મોબાઇનલ નંબર તેમ જ 15થી 20 જેટલા ઇમેલ આઇડીની વિગતો મળી છે.જેની તપાસ કરવી જરૂરી છે.આરોપીઓએ રિમાન્ડ દરમિયાન તપાસમાં પૂરતો સહયોગ આપ્યો નથી.તેથી આરોપીઓના વધુ 20 દિવસના રિમાન્ડ મંજૂર કરો.