– હિરા સોલંકીએ દરિયામાં શ્રીફળ અને દુધ ચડાવી દરિયા દેવને શાંત થવા માટે વિનંતી કરી
– વાવાઝોડાને પગલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પોરબંદરની જવાબદારી સોંપાઈ
પોરબંદર : હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર,જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે.આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે.વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે.હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ,જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.બીજી બાજુ જાફરાબાદના દરિયા કિનારે ધારાસભ્ય હિરા સોલંકીએ દરિયાદેવની પૂજા અર્ચના કરી હતી.
દરિયા દેવને શાંત કરવા માટે વિધીવત પૂજા કરી
અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિતના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.જાફરાબાદના કિનારે 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.જેથી દરિયા કિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.બીજી તરફ ‘બિપોરજોય’ વાવાઝોડાંની શક્યતાને પગલે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે.ધારાસભ્ય હિરા સોલંકીએ માછીમાર આગેવાનો સાથે દરિયા દેવને શાંત કરવા માટે વિધીવત પૂજા કરી હતી.દરિયાની સામે ઉભા રહીને હિરા સોલંકીએ દરિયામાં શ્રીફળ અને દુધ ચડાવી દરિયા દેવને શાંત થવા માટે વિનંતી કરી હતી.
અધિકારીઓ સાથે આપાતકાલિન બેઠક કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પોરબંદરની જવાબદારી સોંપાઈ છે.તેમણે વાવાઝોડાને લઈને અધિકારીઓ સાથે આપાતકાલિન બેઠક કરી હતી. આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.કચ્છમાં પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.વાવાઝોડાની તિવ્રતાને જોતાં દ્વારકા,જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.