સુરત મહાનગરપાલિકાના લિંબાયત વિસ્તારમાં ખરવરનગર જંકશનથી પર્વતપાટીયા તરફ જતા બી.આર.ટી.એસ. રૂટ પર ભાઠેના જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનાવવાનાં કામે ભાઠેના જંકશન પર બ્રીજના ડેક સ્લેબ,પરાપેટ,કનેક્ટીંગ ગર્ડર વિગેરેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જેથી ત્યાંથી પસાર થતાં લોકોની જાનમાલની સલામતી ખાતર ભાઠેના જંકશનને તા.22/૦6/2023 (ગુરૂવાર) થી તા.15/૦7-2023 (શનિવાર) સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.આ અંગેનું જાહેરનામું પણ મનપા દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત ફલાય ઓવર બ્રીજની ડાબી જમણી તરફે આવેલ સર્વિસ રોડ પર કોઈપણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર તેમજ પાર્કીંગ કરવા તેમજ માલસામાનનું લોડીંગ / અનલોડીંગ કરવાનું પણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.આ કામગીરી તા.22/૦6/2023(ગુરૂવાર) થી તા.15-07-2023 (શનિવાર) સુધીનાં સમયગાળા દરમ્યાન કરવામાં આવશે.વધુમાં આ કામગીરી વહેલી પુર્ણ થશે તો ભાઠેના જંકશનને વાહન વ્યવહાર માટે ફરીવાર જાહેરાત વિના જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે.આ જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તથા ભંગ બદલ થયેલ નુકશાની માટે જે તે વ્યક્તિ જવાબદાર રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ છે વૈકલ્પિક વ્યવસ્થા
(૧) રીંગરોડ ચીમની ટેકરા તરફથી આવતા ટ્રાફિકે જંકશનથી ડાબી તરફ વળાંક લઈ આંજણા ફલાય ઓવર બ્રીજ પહેલાં આવતા જંકશન પરથી યુ-ટર્ન લઈ ખરવરનગર ઉધના ઈન્ડસ્ટ્રીયલ (ઝીરો નંબર રોડ) તરફ જવાનુ રહેશે.
(૨) ઉધના ઈન્ડસ્ટ્રીયલ ઝીરો નંબર રોડ તરફથી આવતા ટ્રાફિકે જંકશનથી ડાબી તરફથી વળાંક લઈબી.આર.ટી.એસ. રૂટમાં થઇ યુ-ટર્ન લઈ આંજણા રેલ્વે ઓવર બ્રીજ તથા રીંગરોડ તરફ જવાનું રહેશે.
(૩) આંજણા રઘુકુળ માર્કેટથી આવતા વાહનોએ આંજણા રેલ્વે ઓવર બ્રીજ ઉતરતા જંકશન તરફ ન આવતા ફરજીયાતપણે કેનાલ ક્રોસ કરી ભારતનગર ડેપો થઈ ખરવરનગર તરફ જવાનુ રહેશે.