– એનસીપીમાં બળવો કર્યા બાદ મહારાષ્ટ્રના બીજા ડેપ્યુટી સીએમ તરીકે અજિત પવારે લીધા હતા શપથ
– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ લગભગ નિર્ણય લેવાઈ ગયો હોવાનો દાવો, ઔપચારિક જાહેરાત બાકી
મહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે તેમના 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા,જે પછી હજુ સુધી વિભાગોની વહેંચણી કરવામાં આવી નથી.છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી.જોકે હવે સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અજિત પવાર જૂથને નાણા મંત્રાલય મળી શકે છે.નાણા વિભાગ ઉપ મુખ્યમંત્રી અજિત પવારને સોંપવાનો નિર્ણય લગભગ લેવાયો ગયો છે.જે બાદ હવે ઔપચારિક જાહેરાતની રાહ જોવાઈ રહી છે.છેલ્લા એક સપ્તાહથી આ વિભાગને લઈને સતત બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.
દિલ્હીમાં અમિત શાહની મુલાકાત
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન તેમની સાથે પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા.એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાથેની આ બેઠકમાં વધુ કાનૂની લડાઈ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેના બાદ હરીશ સાલ્વે શિવસેના શિંદે જૂથની જેમ અજિત પવાર કેમ્પનો કેસ લડી શકે છે.
બંને પક્ષોના અલગ-અલગ દાવા
બીજી તરફ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટ અને ચૂંટણી પંચમાં NCPના શરદ પવાર કેમ્પનું પ્રતિનિધિત્વ કરશે.કાનૂની લડાઈ અંગે બંને પક્ષો પોતપોતાના દાવાઓ ધરાવે છે.જ્યારે અજિત પવાર જૂથ કહે છે કે તેની પાસે પાર્ટીના બે તૃતીયાંશ કરતાં વધુ ધારાસભ્યો છે,તેથી તેનો પક્ષ અને ચૂંટણી પ્રતીક પર અધિકાર છે,જ્યારે શરદ પવાર જૂથ દાવો કરે છે કે પાર્ટી પર તેનો અધિકાર છે.અત્યારે તો ચૂંટણી પંચ અને અદાલતે નક્કી કરવાનું છે કે NCPનો અસલી બોસ કોણ છે.