– સીએમ એકનાથ શિંદેના ગઢમાં રાજકીય ઉલટફેર
– ભાજપના કેન્દ્રીય મંત્રી કપિલ પાટિલ અને મુરબાડના ભાજપના ધારાસભ્ય કિશન કથોરે વચ્ચેના ગજગ્રાહનો ઉદ્ધવ જૂથ લાભ લેશે
મુખ્યપ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણે જિલ્લામાં મોટો રાજકીય ઉલટફેર થવા જઈ રહ્યો છે.અહીં ભાજપના વર્તમાન સાંસદ કપિલ પાટિલ સામે હાલના જ ભાજપના ધારાસભ્ય કિશન કથોરે શિવસેના-યુબીટીના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા બળવત્તર બનતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
કેન્દ્ર સરકારમાં પંચાયત રાજ્ય મંત્રી તરીકેનો હોદ્દો ધરાવતા કપિલ પાટિલ તથા મુરબાડના ભાજપના ધારાસભ્ય કિશન કથોરે વચ્ચેનો ગજગ્રાહ જાણીતો છે.આ સંજોગોમાં ઉદ્ધવ જૂથે કથોરેને શિવસેના યુબીટીના ઉમેદવાર તરીકે લોકસભા લડવા ઓફર કરતાં રાજકીય હલચલ મચી છે.હવે કથોરે દ્વારા સત્તાવાર નિર્ણયની રાહ જોવાય છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો વચ્ચે ભલે હજુ આગામી લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ચર્ચા ન થઈ હોય પરંતુ સૂત્રોના જણાવવા મુજબ શિવસેના (યુબીટી) ભિવંડી અને કલ્યાણ- બંને સીટ પરથી પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે.આ સંદર્ભમાં માતોશ્રીમાં યોજાયેલી મીટિંગમાં સતત ચાર વખત ભાજપના વિધાનસભ્ય બનેલા કિશન કથોરેના નામની ચર્ચા થઈ હતી.
છેલ્લા કેટલાય સમયથી સાંસદ કપિલ પાટિલ અને વિધાનસભ્ય કિશન કથોરે વચ્ચે એકબીજાને માત આપવાનો ખેલ ચાલી રહ્યો છે.હજુ મંગળવારે જ ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં કથોરે હાજર નહોતા રહ્યા.બેઠકમાં કથોરેની કાર્ય પધ્ધતિ વિશે ટીકા- ટીપ્પણ થઈ હતી. પાટીલે પોતાનો મતવિસ્તાર છોડીને બીજાના મતવિસ્તાર માટે ભંડોળ આપવાનીવાત સંદર્ભમાં કથોરે પર નિશાન સાધ્યું હતું.પાટીલે એવી કમેન્ટ કરી કે બીજાના મતદાર સંઘ માટે ભંડોળ આપવું સ્થાનિક વિધાનસભ્યની કાર્યક્ષમતા સામે શંકા કરવા સમાન પગલું છે.
પાટીલ અને કથોરે વચ્ચે ચાલતો ગજગ્રાહ વધુ ઊંડો બન્યો છે. બંને વચ્ચેના જાહેરમાં આવેલા વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.જોકે, કથોરે આ વિવાદને નકારી કાઢે છે.એમણે સેના (યુબીટી) સાથે કોઈ વાતચીત ચાલી રહી હોવાને પણ રદ્દીયો આપ્યો છે.શુક્રવારે એક પત્રકાર પરિષદમાં એમણે એવો ખુલાસો કર્યો હતો કે મારા મતદારોનો મને ૨૦ વર્ષથી પ્રેમ મળી રહ્યો છે.એટલે હું ક્યાંય જવાનો નથી.હું વિધાનસભ્ય તરીકે જ ખુશ છું.