લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાના મતે ચૂંટાયેલા સાંસદોને મતવિસ્તાર યાદ આવ્યો છે.એક સરકારી કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત ન રહેતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ભડક્યા હતા.ઉગ્રતામાં આવી ચૂકેલા આ મંત્રીએ કહ્યું કે અધિકારીઓ એમ સમજે છે કે છે કે તેઓ મોટા છે.બધાંથી ઉપર છે. શાના માટે..? આ ડેમોક્રેટીક સિસ્ટમ છે, અહીં કોઈની રાજાશાહી નથી.આ એક જ કિસ્સામાં જિલ્લાના વહીવટનો મંત્રીને પરચો મળી ગયો છે.
કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને ખખડાવી નાંખ્યા
નર્મદા જિલ્લામાં ટંકારી ખાતે ભારત સંકલ્પ યાત્રામાં અધિકારીઓ પર કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા હતા.અમે જેમ અમારી જવાબદારી નિભાવીએ છીએ તેમ અધિકારીઓએ પણ તેમની જવાબદારી નિભાવવાની છે.તેમના કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત નહીં રહેતાં તેમણે આવી ટકોર કરી હતી.આ ટકોર પછી બીજા દિવસના કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા પરંતુ તેમાં પણ કેન્દ્રીય મંત્રીએ ઉચિત કામગીરી કરી નહીં હોવાથી ખખડાવી નાંખ્યા હતા.જાહેર સભામાં મંત્રી સમક્ષ જ્યારે ગ્રામજનોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો ત્યારે તલાટી ઝપટમાં આવી ગયા હતા.તેમણે જાહેર મંચ પરથી કલેક્ટરને આડે હાથ લઈ સવાલ કર્યો હતો કે તમે કામગીરીનું ફોલોઅપ લો છો કે નહીં.
રથનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ કર્યો
આટલેથી નહીં અટકેલા મંત્રીએ સંકલ્પ યાત્રામાં નક્કી કરેલા રથનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ કરતાં કહ્યું કે બે દિવસથી અહીંયા ફરૂં છું પરંતુ રથમાં બતાવવામાં આવતી ફિલ્મ બરાબર ચાલતી નથી.કલેક્ટરને ઈશારો કરી તેમણે કહ્યું કે તમે કંઈ તપાસ કરો છો કે નહીં.કેન્દ્રીય મંત્રીને જિલ્લા વહીવટી તંત્રની વાસ્તવિકતાનો પરિચય થયો છે.સરકાર ઉપરથી આદેશ કરે છે પરંતુ જિલ્લાઓમાં ભલામણો કચરા ટોપલીમાં જાય છે.જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી અને કામ નહીં કરવાની પદ્ધતિ મંત્રીએ લોકોની સમક્ષ ખુલ્લી કરી છે,જે સત્તાધારી પાર્ટી માટે અતિ શરમજનક બાબત છે.