ગુજરાતમાં આજે સાંજ સુધીમાં કોરોનાના કુલ 146 કેસ નોંધાયા છે. બપોર બાદ સુરતમાં બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ સરકારએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના 15 જેટલાક હોટસ્પોટ બનેલા વિસ્તારોને સીલ કરવામાં આવશે. આ વિસ્તારોમાં સુરતના 3, ભાવનગરના 2, વડોદરાના 2 અને અમદાવાદના 6થી વધુ વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન એટલે કે સીલ કરવામાં આવશે. સાથે જ અહીં સર્વેલન્સની કામગીરી સઘન રીતે શરુ કરી દેવામાં આવી છે.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતાં કહ્યું હતું કે છેલ્લા 2 દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 95થી વધી 146 થઈ ચુકી છે. આ વાતને ધ્યાનમાં રાખી અને કોરોના વાયરસના હોટસ્પોટ બનેલા 4 શહેરોના 15 વિસ્તારને સંપૂર્ણ લોકડાઉન એટલે કે સીલ કરવાનો નિર્ણય કરાયો છે. આ વિસ્તારોમાં સુરતના 3, ભાવનગરના 2, વડોદરાના 2 અને અમદાવાદના 8 વિસ્તારોનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 2 દિવસમાં જે 39 કેસ નોંધાયા છે તે ખાસ વિસ્તારોમાંથી જ આવ્યા છે અને લોકલ ટ્રાંશમીશન છે. તેવામાં હવે આ વિસ્તારોને સીલ કરવામાં આવશે જેથી સંક્રમણ અન્ય વિસ્તારોમાં ન ફેલાય. વિસ્તારો સીલ કર્યા પછી ત્યાં ખાસ એક્શન પ્લાન અંતર્ગત સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે.
આ વિસ્તારોમાં જે લોકોના ટેસ્ટ થયા છે અને હાલ તે નેગેટિવ આવ્યા છે તેમને પણ કોરોન્ટાઈન કરાશે અને થોડા થોડા દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત હવે આ વિસ્તારોમાં જે કામ થશે તેમાં પોલીસના અધિકારી, મહાપાલિકાના અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ સાથે મળી સઘન ચેકિંગ કરેશે. આ વિસ્તારોમાં ટેસ્ટ પણ વધારે કરવામાં આવશે.
જે વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે તેમાં સુરત શહેરના રાંદેર, બેગમપુરા અને સચિન વિસ્તાર છે. ભાવનગરમાં રુપાપઢી અને સાંઢીયાવાડ, વડોદરામાં નાગરવાડા ,સૈયદપુરા તેમજ અમદાવાદમાં ધૃવનગર, દાણીલીમડા, બાપુનગર, જમાલપુર, દરિયાપુર સહિતના 8 વિસ્તારો સીલ કરાશે.