– UNના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં દાવો કરાયો
સંયુક્ત રાષ્ટ્ર,
કોવિડ-19ની મહામારીના કારણે કામના કલાકોમાં ઘટાડો થાય બાદ વિશ્વભરમાં અસંગઠિત ક્ષેત્રના 1.6 અબજ શ્રમિકો સામે રોજગારી ગુમાવવાનું સંકટ પેદા થયું છે. આ સંખ્યા વૈશ્વિક સ્તર પર કુલ શ્રમબળથી અડધી છે.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(આઇએલઓ)એ કહ્યું છે કે 43 કરોડથી વધુ ઉદ્યોગ ખૂબ પ્રભાવિત છે, જેમાં રિટેઇલ અને ઉત્પાદન કરતાં ક્ષેત્રો સામેલ છે. આ માહિતી આઇએલઓ મોનિટરની ત્રીજી આવૃત્તિ ‘કોવિડ-19 અને કામની દુનિયા’માં બુધવારે પ્રકાશિત થઈ છે.વૈશ્વિક સ્તર પર લગભગ 3.3 અબજ શ્રમિકો છે. લગભગ બે અબજ નોકરીઓ અસંગઠિત અર્થવ્યવસ્થા વાળા ક્ષેત્રમાં છે અને આ એવા શ્રમિકો છે,જેમની નોકરી જવાનો સૌથી મોટો ખતરો છે.
સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું કે કોવિડ-19 મહામારીના કારણે આર્થિક પ્રગતિ સ્થગિત થવાથી અસંગઠિત ક્ષેત્રના 1.6 અબજ લોકોની સામે આજીવિકા ગુમાવવાનું સંકટ પેદા થયું છે.આઈએલઓના કહેવા અનુસાર બંધ અને ખૂબ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરનાર આવા શ્રમિકોની આવક બંધ થવાથી પ્રથમ મહિનામાં વૈશ્વિક સ્તર પર 60 ટકાનો ઘટાડો થયો છે.આઇએલઓના ડાયરેક્ટર જનરલ ગાય રેડરે કહ્યું કે મહામારી અને નોકરીઓના સંકટના કારણે આ શ્રમિકોની આજીવિકાને સુરક્ષિત કરવી ખૂબ જરુરી છે.જો આજીવિકા સુરક્ષિત નહીં કરાય તો મજૂરોની મુશ્કેલી વધી શકે છે.