– લાઈસન્સ માટે અરજી કરતી વખતે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ઉંમર 17 વર્ષ 10 મહિના હતી
નવી દિલ્હી,તા.03 ફેબ્રુઆરી,ગુરૂવાર : સમીર વાનખેડેની NCBમાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ તેમની મુશ્કેલીઓનો હજુ સુધી કોઈ અંત નથી આવ્યો.બુધવારે મહારાષ્ટ્રમાં સમીર વાનખેડેની એક હોટેલ જેની અંદર બાર પણ હતો તેનું લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.આ સાથે જ આમ કરવા પાછળનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે.મહારાષ્ટ્રના નવા મુંબઈ ખાતે સમીર વાનખેડેની સદગુરૂ હોટેલ એન્ડ બાર નામની હોટેલ હતી.થાણેના કલેક્ટરે તેનું લાઈસન્સ રદ્દ કરી દીધું છે.સાથે જ એવું કારણ આપવામાં આવ્યું છે કે,સમીર વાનખેડેએ લાઈસન્સ મેળવવા માટે જે કાગળિયા દેખાડ્યા હતા તેમાં ગોલમાલ કરવામાં આવી હતી.
થાણેના એસપી આબકારી,નીલેશ સાંગદેએ જણાવ્યું કે,સદગુરૂ હોટેલ અને બારનું લાઈસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.ડીએમના આદેશ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે.અગાઉ ડીએમ દ્વારા વાનખેડેને કારણ દર્શાવો નોટિસ પણ મોકલવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું કે,સમીરે જ્યારે લાઈસન્સ માટે અપ્લાય કરેલું ત્યારે તેની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હતી માટે સદગુરૂ હોટેલ એન્ડ બારનું લાઈસન્સ કેન્સલ કરવામાં આવે છે.
રિપોર્ટ્સ પ્રમાણે લાઈસન્સ માટે અરજી કરતી વખતે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ઉંમર 17 વર્ષ 10 મહિના હતી.જ્યારે એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે 21 વર્ષની ઉંમરે જ લાઈસન્સ આપવામાં આવે છે.
વાનખેડે પર ભ્રષ્ટાચારનો પણ આરોપ
અગાઉ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.ક્રૂઝ કેસના એક સ્વતંત્ર સાક્ષીએ આ આરોપ લગાવ્યો હતો. કિરણ ગોસાવીના બોડીગાર્ડ રહી ચુકેલા પ્રભાકર સૈલે એવો દાવો કર્યો હતો કે,શાહરૂખ ખાનના દીકરાને છોડવા માટે 25 કરોડની ડીલ પર વાત થઈ રહી હતી અને અંતમાં 18 કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી જેમાં 8 કરોડ વાનખેડેને મળવાના હતા.
ત્યાર બાદ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે વાનખેડે વિરૂદ્ધ એક બાદ એક એવા ખુલાસાઓ કર્યા કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ.એટલે સુધી કે,આર્યન ખાન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાંથી તેમને ખસેડી લેવામાં આવ્યા હતા.નવાબે કહ્યું હતું કે, સમીરે બોગસ જાતિ પ્રમાણપત્રના આધાર પર NCBમાં નોકરી મેળવી હતી.નવાબ મલિકે જ સમીર વાનખેડેએ 2 શાદી કરી હોવાની વાત પણ કરી હતી.

