અમદાવાદ : કોરોના વાયરસ રોગચાળાને જોતાં, ટેક્સ રીફંડ વધુ તેજ કરવાના સરકારના પ્રયાસો છતાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ડાયરેક્ટ ટેક્સ રિફંડમાં 10 ટકાનો ઘટાડો થયો છે.આ નાણાકીય વર્ષમાં 18 જુલાઇ સુધીમાં રિફંડ અથવા આવકવેરા વિભાગમાં રોકડ પ્રવાહ રૂ.74,000 કરોડ રહ્યો છે,જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.82,000 કરોડ હતો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર કરદાતાઓના જવાબની રાહ અને જે કેસોની તપાસ કરવામાં આવી રહી છે તેમનુ જ રિફંડ રોકવામાં આવ્યું છે.સીબીડીટીના અધિકારીએ કહ્યું,જે આપવાનું હતું તે અમે આપ્યું છે.રિફંડ ફક્ત એવા કિસ્સાઓમાં કરવામાં આવ્યું નથી જ્યાં કરદાતાઓ તરફથી જવાબ અપેક્ષિત છે.જ્યારે તેઓ જવાબ મોકલશે,ત્યારે બાકીનું રિફંડ પણ આપવામાં આવશે.કેટલાક ટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સ રિફંડમાં ઘટાડો થવા પાછળનું એક કારણ લોકડાઉનને કારણે સ્ટાફની ઘટ છે.અમુક રિફંડમાં અધિકારીઓની મંજૂરી જરૂરી હોય છે.
ગત સપ્તાહે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર 19.79 લાખ કેસોમાં કરદાતાઓને 24,603 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે અને કંપનીઓના 1.45 લાખ કેસમાં આ સમયગાળા દરમિયાન 46,626 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.7 જુલાઈ સુધીના આંકડાઓ અનુસાર રિફંડ બાદ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 23.4 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ.1.4 લાખ કરોડ રહ્યું છે. જે ગતવર્ષના સમાન સમયગાળામાં રૂ.1.83 લાખ કરોડ હતું.