કોરોનાની મહામારી વચ્ચે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રાજ્યમાં એક તરફ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે.તો બીજી તરફ ગરીબ લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે નવા-નવા ધંધા શરૂ કરી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારી વચ્ચે બેરોજગાર બનેલા એક એન્જિનિયર યુવકે પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુરતમાં આલુપુરીની લારી શરૂ કરી છે.મહત્ત્વની વાત એ છે કે,યુવક અને તેની પત્ની બંને શિક્ષિત છે અને તેને કોરોનાના કપરા કાળ વચ્ચે કોઈ નોકરી ન મળતા આલુપુરીનો ધંધો શરૂ કરવો પડ્યો.
સુરતમાં આલુપુરીનો ધંધો શરૂ કર્યો છે તે યુવકે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.પરંતુ કોરોનાની મહામારી વચ્ચે નોકરી જતા તેણે સુરતના ઉધના વિસ્તારમાં આલુપુરીની લારી શરૂ કરવી પડી.એન્જિનિયર હોવા છતાં તેણે આલુપુરીનો ધંધો શરૂ કર્યો હોવાથી તેણે આલુપુરીની લારીનું નામ પણ એન્જિનિયર આલુપુરી રાખ્યું છે.
આ યુવકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે.ત્યારબાદ મારા બેકમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો.જેના કારણે હું વધારે કામ કરી શકતો ન હતો પરંતુ મેં એક જગ્યા પર બેસીને કામ થાય તેવું કામ કરવાનો વિચાર કર્યો અને ટીચિંગનો વ્યવસાય શરૂ કર્યો પરંતુ, ટીચિંગના વ્યવસાયના થોડા સમયમાં જ કોરોનાનું લોકડાઉન આવ્યું.જેના કારણે મારે જોબ છોડવી પડી.પછી હું અને મારી પત્ની સુરતમાં રહેવા આવ્યા.ત્યારબાદ અમે ઘણી જોબની શોધ કરી પરંતુ અમને જોબ ન મળતાં અમે એવો વિચાર કર્યો કે,કોઈપણ જોબ મળે એ કરવા અમે તૈયાર છીએ. છતાં પણ અમને કોઈ જગ્યા પર જોબ મળી નહીં.મને એક જગ્યા પર જોબ મળી હતી પરંતુ,એ જોબ ઘરથી ઘણી દૂર મળી હતી એટલે મેં જોબ સ્વીકારી નહીં. આ જોબમાં સેલેરી ખૂબ જ ઓછી હતી.
હું મારી પત્ની સાથે ઘરે બેઠો હતો ત્યારે અમે બંનેએ ચર્ચા કરી હતી કે,આપણને જોબ મળતી નથી એટલે નવો બિઝનેસ કરવો પડશે. એટલે મેં વિચાર કર્યો કે કંઈક ને કઈ ધંધો દિવાળી સુધી કરીએ અને પછી દિવાળી પછી માર્કેટ ખુલશે એટલે જોબ શરૂ કરી દઈશું.એટલા માટે દિવાળી સુધી ધંધો કરવા માટે આલુપુરીનું વેચાણ શરૂ કર્યું.કારણ કે,આ સમયમાં ઘર ચલાવવું મારા માટે ખૂબ જ અગત્યનું હતું.મારી પત્નીએ પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે પરંતુ,એનું પણ કંઇક મારા જેવું જ છે.મારી વાઈફ પણ પહેલા શિક્ષક હતી પરંતુ,લોકડાઉનના કારણે જોબ છુટી ગઈ અને પછી અમે સુરત આવી ગયા અને પછી અમે બંને એકસાથે જોબ શોધતા હતા પરંતુ, જોબ ન મળતા અને અંતે અમે અનલોકમાં આલુપુરીનો ધંધો શરૂ કર્યો.