ભારત માન્યતાઓ અને પરંપરાનો દેશ છે,અગાઉ પણ મંદિરોમાં મહિલાના પ્રવેશને લઇને ભારતમાં હોબાળા થઇ ચૂક્યા છે.ત્યારે ગુજરાતના ડાકોર મંદિરમાં ભગવાનના ગર્ભગૃહમાં મહિલાના પ્રવેશને લઇને વિવાદ સર્જાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને અરજી કરવામાં આવી છે.જેમાં કહેવામાં આવ્યું છે કે પરેશભાઇ રમેશચંદ્ર નામના વ્યક્તિએ સવારના સમયે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.એટલું જ નહી આ વ્યક્તિએ મંદિરના નિતિ નિયમો વિરૂદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા.જે મંદિરની કમિટીના નિતિ નિયમો વિરૂદ્ધનું કામ કરી વારાદારી સેવકએ પરંપરા તોડી છે.જેથી પોલીસ અરજીને ધ્યાને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિવાદ સર્જાયો છે.જેને લઇને વારાદારી સેવક પરેશભાઇ રમેશચંદ્રએ જણાવ્યું હતું કે આજે અમારા પરિવારનો વારો હતો.અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું.મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પુછવાનું હોતું નથી.અમે અમારા પરિવારના સભ્યોને નીજ મંદિરમાં લઇ જઇ શકીએ છીએ.જેમને હું મારી સાથે લઇ ગયો હતો.તે મારી પત્નિ અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતાં.
ડાકોરના પીએસઆઇએસએ જણાવ્યું હતું કે ડાકોર ટેમ્પલ બોર્ડ દ્વારા અરજી આપવામાં આવી છે.મહિલાઓ નિજ મંદિર પ્રવેશ કરી શકે કે નહીં તે મંદિરનો વિષય છે.મેનેજરે અરજી આપી છે.જેમાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ કર્યો છે.તે બાબતનો ઉલ્લેખ કરાયો છે. સમગ્ર બાબતે જવાબ લેવાની કાર્યવાહી ચાલુ છે.તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર બાબતે અમે પોલીસને જાણ કરી કાયમી બંદોબસ્ત માંગ્યો છે.જેથી ફરી આવો બનાવ ન બને. મહિલાઓ નિજ મંદિરમાં પ્રવેશ કરી શકે કે કેમ તે બાબતે નિયમોમાં કોઈ ઉલ્લેખ નથી.પરંતુ સામાન્ય રીતે મહિલાઓને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી.નિયમોમાં જે મર્યાદા છે તે મુજબ અમે પરેશભાઈનો ખુલાસો માગ્યો છે.ફરીવાર આવો કોઈ બનાવ ના બને તે જરૂરી છે.


