(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૦ : પાકિસ્તાનની ૩૪ ટકા વસ્તીની દૈનિક આવક ફક્ત ૩.૨ ડોલર એટલે કે ૫૮૮ રૃપિયા છે તેમ વર્લ્ડ બેૈંકે જણાવ્યું છે.નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નવા નાણા પ્રધાન મિફતાહ ઇસ્માઇલને ફુગાવા સહિતના અનેક આર્થિક પડકારોનો સામનો કરવો પડશે.વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તા દ્વારા જારી પાકિસ્તાન ડેવલોપમેન્ટ અપડેટ નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સતત વધી રહેલા ફુગાવાને કારણે ગરીબ લોકોની સ્થિતિ વધુ કફોડી બનતી જાય છે.તેમની આવકનો મોટા ભાગનો હિસ્સો ફૂડ અને એનર્જી પાછળ ખર્ચાઇ રહ્યો છે.વડાપ્રધાન શેહબાઝ શરીફને ઇસ્માઇલની નાણા પ્રધાન તરીકે નિમણૂક કરી ત્યારે વર્લ્ડ બેંક દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગરીબ લોકો પોતાની આવકનો ૫૦ ટકા હિસ્સો ખાદ્ય વસ્તુઓ પાછળ ખર્ચ કરી રહ્યાં છે.
અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ ઘટાવા તાત્કાલિક પગલાં ભરવાની જરૃર છે.આ અહેવાલ મુજબ ગયા વર્ષમાં પાકિસ્તાનની ૩૭ ટકા વસ્તીની દૈનિક આવક ફકત ૩.૨ ડોલર એટલે કે ૫૮૮ રૃપિયા હતી.આમ છતાં ગરીબીમાં ૩ ટકાનો સુધારો થયો હોવા છતાં હજુ પણ પાકિસ્તાનમાં ગરીબોની સ્થિતિ વધુ વણસી રહી છે.ઉલ્લેખનીય છે કે ઇસ્માઇલની સાથે ડો. આયેશા ઘોસ પાશાને રાજ્ય કક્ષાના નાણા પ્રધાન બનાવવામાં આવ્યા છે.આ બંને પ્રધાનો અમેરિકાના પ્રવાસ માટે રવાના થઇ ગયા છે.આ પ્રવાસ દરમિયાન તેઓ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંકના અધિકારીઓને મળશે.
વર્લ્ડ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ ફુગાવો ૧૦.૭ ટકા રહેવાની શક્યતા છે.દક્ષિણ એશિયામાં પાકિસ્તાનનો ફુગાવો સૌથી વધુ છે.આઇએમએફના અંદાજ મુજબ ૨૦૨૨માં પાકિસ્તાનનો જીડીપી ચાર ટકા રહેવાનો અંદાજ છે.જૂન, ૨૦૨૨માં પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના ૫.૩ ટકા થઇ જશે.ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ વધીને ૧૮.૫ અબજ ડોલરને પાર થવાનો અંદાજ છે.આઇએમએફના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો સરેરાશ જીડીપી વધીને ૧૨.૭ ટકા રહેશે.


