નવી દિલ્હી : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ભારતની મુલાકાતમાં એક સિદ્ધિ મળે તેવી શક્યતા છે.ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આર્થિક ગુનેગારોને દેશમાં પાછા લાવવાની તેની પ્રાથમિકતા છે.જ્હોન્સને ભારતની આ લાંબાગાળાની ચિંતાની ગંભીર નોંધ લીધી છે.તેમણે સંકેત આપ્યો છે કે તેઓ આ મામલે અત્યંત સંવેદનશીલ છે અને કહ્યું હતું કે બ્રિટન એવા લોકોને નહીં આવકારે કે જેઓ ભારતીય કાયદાથી બચવા માટે બ્રિટનની કાયદાકીય સિસ્ટમનો ઉપયોગ કરવા માગે છે.આમ હવે ભારતમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા આર્થિક ગુનેગારોને દેશમાં પરત લાવવા આડેનો માર્ગ મોકળો બને તેમ છે. જ્હોન્સને એમ પણ જણાવ્યું હતું કે ભારત વિશ્વની મહાન લોકશાહી છે.તેમણે કહ્યું કે લોકશાહી મામલે કોઈ દેશે બીજા દેશને સલાહ ના આપવી જોઈએ.ઉલ્લેખનીય છે કે ભારત છેલ્લાં અનેક વર્ષોથી નાણાકીય છેતરપિંડીને લગતાં કેસોમાં કથિત સંડોવણી બદલ કાનૂની કેસ ચલાવવા માટે વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની સર્વગ્રાહી વાટાઘાટો બાદ જ્હોન્સને ઉમેર્યું હતું કે બ્રિટનની સરકારે તેમના પ્રત્યાર્પણનો આદેશ આપી દીધો છે અને અનેક કાયદેસરની ગૂંચવાડાને કારણે તેમના પ્રત્યાર્પણનો મામલો મુશ્કેલ બન્યો છે.જોકે અમે ભારતમાં કાયદાથી બચવા માટે અહીંની કાનૂની સિસ્ટમનો ઉપયોગ કરવા માગતા હોય તેવા લોકોને અમે આવકારતા નથી.આ મામલે તેઓ શું કરી શકે છે તે પણ જોશે.
નરેન્દ્ર મોદી અને જ્હોન્સન વચ્ચે વ્યાપક વાટાઘાટો અંગે પત્રકારોને માહિતગાર કરતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે ભારતમાં જેમની સામે કેસ ચલાવવાના હોય તેવા વોન્ટેડ ભાગેડુ આર્થિક ગુનેગારોને પાછા લાવવા માગે છે.બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચામાં આ મુદો ઉઠાવવામાં આવ્યો હતો.શ્રીંગલાએ ઉમેર્યું હતું કે ‘અમે ભારતીય પક્ષ તરફથી આ અંગેની જાણ તેમને કરી હતી.બ્રિટન બાજુથી પણ કહેવાયું કે તેઓ બ્રિટનમાં રહેતા આર્થિક ગુનેગારોને ટૂંકમાં જ પાછા લાવવાનું અમારી ન્યાયિક સિસ્ટમની દ્રષ્ટિએ પણ મહત્વનું છે.’ શ્રીંગલાએ વધુમાં કહ્યું હતું કે રશિયા -યુક્રેન સંઘર્ષ મામલે ભારતના વલણ અંગે બ્રિટન તરફથી ભારત પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી.
ભારત, બ્રિટન વચ્ચે સંરક્ષણ, વેપાર ક્ષેત્રે સમજૂતી
ભૌગોલિક ઉથલપાથલ વચ્ચે બન્ને દેશોના વડાપ્રધાનોએ એક નવા અને વ્યાપક ભારત-બ્રિટન ડિફેન્સ પાર્ટનરશીપ મામલે સંમતિ દર્શાવી હતી અને વર્ષના અંત સુધીમાં એક મહત્વાકાંક્ષી મુક્ત વેપાર સમજૂતી કરવાનું આહ્વાન પણ કર્યું હતું. બન્ને દેશોએ જમીન, આકાશ અને દરિયા ઉપરાંત સાયબર ક્ષેત્રે નવા ખતરાને પહોંચી વળવા માટે સાથે કામ કરવા સંમતિ દર્શાવી છે.ભારતમાં છેલ્લાં દિવસની મુલાકાતમાં જ્હોન્સને કહ્યું હતું કે ભારત માટે સંરક્ષણ ક્ષેત્રની ખરીદી માટે અમલદારશાહી અને ડિલિવરીના સમય ઘટાડવા માટે બ્રિટન ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સ (ઓજીઇએલ) ઊભું કરી રહ્યું છે.
જ્હોન્સને PM મોદીને ‘ખાસ દોસ્ત’ ગણાવ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચેની આત્મીયતા મીડિયા ઇવેન્ટમાં દેખાઇ હતી.જ્હોન્સને મોદીને તેમના ‘ખાસ દોસ્ત’ ગણાવ્યા હતા અને તેમના પ્રથમ નામથી અનેક વખત બોલાવ્યા હતા.જ્હોન્સને ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં મળેલા આવકારની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મને અહીં સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવો અહેસાસ થયો હતો. ઇવેન્ટમાં જ્હોન્સને કહ્યું હતું કે ‘ધન્યવાદ મારા મિત્ર નરેન્દ્ર, હિન્દીમાં હું ખાસ દોસ્ત શબ્દ વાપરીશ.’
રશિયા યુક્રેન છોડી જાય તેમ ભારત ઇચ્છે છે: જ્હોન્સન
યુક્રેનમાં શાંતિ સ્થાપિત થાય અને રશિયા ત્યાંથી બહાર નીકળી જાય તેમ ભારત ઇચ્છે છે તેમ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત પછી જણાવ્યું છે. યુક્રેનમાં બુચામાં જે થયું છે તે મામલે મોદીએ આકરો પ્રતિસાદ આપ્યો હતો.રશિયા સાથે ભારતના દાયકાઓ જૂના સંબંધોને સમજે છે અને તેનું સન્માન કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

