નવી દિલ્હી : દેશના ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગ માટે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વપૂર્ણ રાહતના સમાચાર આવ્યા છે.સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો બેંક અને લોન લેનાર વચ્ચે વન ટાઇમ સેટલમેન્ટ (OTS) અથવા અન્ય કોઈ સત્તાવાર સમજૂતી થઈ ગઈ હોય,તો ત્યારબાદ તે જ મામલામાં લોન ડિફોલ્ટર વિરુદ્ધ ગુનાઈત કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક ઉદ્યોગપતિની અરજી પર સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.કોર્ટે અરજદાર સામે ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસોને રદ કરતા જણાવ્યું કે બેંકિંગ વ્યવહારો મૂળભૂત રીતે વ્યાપારી અને નાણાકીય પ્રકૃતિના હોય છે.જ્યારે બંને પક્ષો પરસ્પર સહમતિથી વિવાદનો ઉકેલ લાવી ચૂક્યા હોય,ત્યારે ત્યારબાદ ગુનાહિત કાર્યવાહી ચાલુ રાખવી એ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે.કોર્ટે અવલોકન કર્યું કે આવા કિસ્સાઓમાં આરોપીને દોષિત ઠેરવવાની શક્યતા અત્યંત ઓછી રહે છે.તેથી લાંબા સમય સુધી કેસો ખેંચવા માત્ર હેરાનગતિ વધારવા જેવું છે.આ કેસમાં એક ઉદ્યોગપતિએ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) સમક્ષ બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કર્યું હતું.કુલ 6.49 કરોડ રૂપિયાના બાકી લેણાં સામે તેમણે 4.25 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી,જેમાં 3.09 કરોડ રૂપિયા વ્યાજની રકમનો પણ સમાવેશ થતો હતો.
સેટલમેન્ટના લગભગ બે વર્ષ બાદ બેંકે આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગપતિએ નકલી ઓડિટ રિપોર્ટ રજૂ કરીને કેશ ક્રેડિટ લિમિટ વધારવા માટે છેતરપિંડી અને જાળસાજી કરી હતી.આ ફરિયાદના આધારે CBIએ તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી.જોકે, સુપ્રીમ કોર્ટે હવે આ સમગ્ર કાર્યવાહી અને ચાર્જશીટને રદ કરી દીધી છે.ચુકાદામાં કોર્ટે દેશના વ્યાપારી વાતાવરણ અંગે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.અદાલતના જણાવ્યા મુજબ જો DRT અથવા અન્ય કાયદાકીય મંચો પર સત્તાવાર સેટલમેન્ટ થયા બાદ પણ ઉદ્યોગપતિઓ સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો ભવિષ્યમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બેંકિંગ વિવાદોના સમાધાન માટે આગળ આવતાં અચકાશે.
કોર્ટે ચેતવણી આપી કે આવી સ્થિતિ દેશના બેંકિંગ ક્ષેત્ર અને અર્થતંત્ર બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી વિવાદોના સમાધાનની પ્રક્રિયા પ્રભાવિત થશે અને બેંકોના નાણાંની વસૂલાત પણ મુશ્કેલ બની શકે છે.


