અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પણ તમામ મહાનગરપાલિકાઓના મેયરના નામ એકસાથે જાહેર ન થતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.જોકે આ વિલંબ પાછળ માત્ર રાજકીય નહીં પરંતુ વહીવટી અને સંગઠનાત્મક કારણો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
સૌથી મોટું કારણ વિવિધ મહાનગરપાલિકાઓની પ્રથમ સામાન્ય સભાનો અલગ-અલગ સમય છે.નિયમો મુજબ કોઈપણ મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત પ્રથમ સામાન્ય સભામાં જ થઈ શકે છે.તમામ મનપાઓની બેઠક એક જ દિવસે યોજાતી નથી,જેના કારણે નામોની જાહેરાત પણ તબક્કાવાર થઈ રહી છે.અમદાવાદ,જામનગર અને મહેસાણા જેવી મનપાઓમાં પ્રથમ સામાન્ય સભા યોજાતા ત્યાં મેયર અને પદાધિકારીઓના નામ જાહેર થઈ ચૂક્યા છે,જ્યારે અન્ય મનપાઓમાં આગામી દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ થશે.
બીજું મોટું કારણ પક્ષની આંતરિક ગોઠવણ અને દાવેદારોની લાંબી યાદી છે.શાસક ભાજપને તમામ 15 મનપાઓમાં મોટી બહુમતી મળતાં મેયર,સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને અન્ય મહત્વના હોદ્દાઓ માટે અનેક દાવેદારો મેદાનમાં આવ્યા હતા.ખાસ કરીને સુરત,વડોદરા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જુદા જુદા જૂથો વચ્ચે સમીકરણ બેસાડવા તેમજ પ્રાદેશિક અને જ્ઞાતિગત સંતુલન જાળવવા પક્ષને સમય લાગ્યો હોવાનું માનવામાં આવે છે.
ત્રીજું કારણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને ઉચ્ચ નેતૃત્વની મંજૂરી પ્રક્રિયા છે.સ્થાનિક સ્તરે નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા અભિપ્રાયોની યાદી પ્રદેશ નેતૃત્વ સુધી મોકલવામાં આવી હતી.ત્યારબાદ અંતિમ મંજૂરી માટે ઉચ્ચ નેતૃત્વની મહોર જરૂરી બનતાં આખી પ્રક્રિયામાં અગાઉ કરતાં વધુ સમય લાગ્યો છે.
અહેવાલો મુજબ આ વખતે અંતિમ યાદી જાહેર થવામાં 15થી 20 દિવસ જેટલો વિલંબ નોંધાયો છે.ચોથું અને મહત્વનું કારણ નવી રચાયેલી મનપાઓનું વહીવટી ગઠન છે.આ વર્ષે ગુજરાતમાં મહેસાણા,મોરબી,આણંદ,નડિયાદ,ગાંધીધામ,પોરબંદર,સુરેન્દ્રનગર,નવસારી અને વાપી સહિતની નવી મનપાઓમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ છે.નવી મનપાઓમાં બોર્ડની રચના,હોદ્દાઓનું અનામત રોટેશન અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં પણ સમય લાગ્યો છે.સૂત્રોના જણાવ્યા મુજબ શાસક પક્ષે તમામ નામો લગભગ નક્કી કરી લીધા છે અને બંધ કવરમાં અંતિમ મંજૂરી પણ તૈયાર છે,પરંતુ જે-તે મનપાની સામાન્ય સભા યોજાય ત્યારબાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.


