પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી વિરુદ્ધ શરૂ કરાયેલા કડક અભિયાન બાદ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ભાજપ સરકારની ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ નીતિ અમલમાં આવતા જ સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોનું પલાયન શરૂ થઈ ગયું છે.ઉત્તર 24 પરગણા અને માલદા જિલ્લામાંથી સામે આવેલા દ્રશ્યો બાદ રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ છે.
સરહદે પાછા ફરવા લાગી લાઈનો
ઉત્તર 24 પરગણાના બશીરહાટ નજીક હકીમપુર ચેકપોસ્ટ પર મંગળવારે સવારથી જ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ ભેગા થયા હતા.આ તમામ લોકો સ્વેચ્છાએ સરહદ પાર કરીને બાંગ્લાદેશ પરત જવા માંગતા હોવાનું સામે આવ્યું છે.સરકારની કાર્યવાહી, ધરપકડનો ડર અને નવા બનાવાયેલા હોલ્ડિંગ સેન્ટરોના કારણે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ થોડા દિવસ પહેલાં જ ઘૂસણખોરો સામે ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ અભિયાનની જાહેરાત કરી હતી,ત્યારથી જ સરહદી વિસ્તારોમાં હલચલ તેજ બની છે.
સીએએ બહારના લોકો સામે કડક કાર્યવાહી
બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે, જે લોકો નાગરિકતા સુધારા કાયદાના દાયરામાં આવતા નથી તેમને ગેરકાયદેસર ઘૂસણખોર ગણવામાં આવશે.આવા લોકોને પોલીસ ઝડપી લઈને બીએસએફને સોંપશે.રાજ્ય સરકારે જિલ્લાવાર હોલ્ડિંગ સેન્ટરો બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.માલદા જિલ્લો દેશમાં એવો પહેલો વિસ્તાર બન્યો છે જ્યાં આ પ્રકારનું સેન્ટર કાર્યરત થયું છે.
માલદાના હોલ્ડિંગ સેન્ટરમાં કડક બંદોબસ્ત
માલદાના ઇંગ્લિશ બજાર વિસ્તારમાં આવેલા ચંદન પાર્ક હોલ્ડિંગ સેન્ટરમાં હાલમાં ત્રણ મહિલાઓ અને છ સગીર સહિત કુલ નવ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે.સંપૂર્ણ સેન્ટર પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.પોલીસ,નાગરિક સુરક્ષા દળ અને સહાયક સ્ટાફની ખાસ તૈનાતી કરાઈ છે.અહીં શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની તપાસ,ઓળખ ચકાસણી અને જૈવિક માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.નવી વ્યવસ્થા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાશે.
નવા કાયદાથી સરકાર વધુ આક્રમક
કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા નવા ‘ઇમિગ્રેશન અને ફોરેનર્સ અધિનિયમ-2026’ બાદ હવે કાર્યવાહી વધુ સખત બની છે.આ કાયદા હેઠળ ટેકનોલોજી આધારિત દેખરેખ,ઓળખ અને દેશનિકાલની પ્રક્રિયા અમલમાં મૂકાઈ રહી છે.ખાસ વાત એ છે કે હવે હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના અધિકારીઓને પણ શંકાસ્પદ ઘૂસણખોરોની વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.
દેશનિકાલ મુદ્દે રાજકીય ઘમાસાણ
ઘૂસણખોરી મુદ્દે રાજ્યમાં ફરી રાજકીય તાપમાન ચડી ગયું છે.ભાજપ સરકારના આ અભિયાનને દેશ સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું છે.ઉત્તર માલદાના સાંસદ ખગેન મુર્મૂએ જણાવ્યું કે, બંગાળ હવે રોહિંગ્યા અને આતંકી તત્વોનું આશ્રયસ્થાન બની રહ્યું હતું, તેથી આ કાર્યવાહી અનિવાર્ય હતી.બીજી તરફ સરકારે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા કાયદા હેઠળ સુરક્ષિત લઘુમતી સમુદાયોને કોઈ નુકસાન નહીં થાય.નિયમો અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2024 પહેલાં ભારત આવેલા હિન્દુ,શીખ,જૈન,બૌદ્ધ,પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.


