નવી દિલ્હી, તા. 02 જૂન 2020, મંગળવાર
સુપ્રીમ કોર્ટમાં આજે બંધારણમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવાને લઇને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના પહેલા અનુચ્છેદમાં લખ્યું છે કે ઇન્ડિયા એટલે કે ભારત.એવામાં પશ્ન ઉઠ્યો છે કે જ્યારે દેશ એક છે તો તેના બે નામ કેમ છે? એક જ નામનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો?
દેશની સુપ્રીમ કોર્ટ આ સંબંધમાં આજે સુનાવણી કરશે.અરજીકર્તાનું કહેવું છે કે ઇન્ડિયા શબ્દ ગુલામીની અનુભૂતિ કરાવે છે અને અને આ ભારતની ગુલામીની નિશાની છે.એટલા માટે આ શબ્દની જગ્યાએ ભારત અથવા હિન્દુસ્તાનનો ઉપયોગ થવો જોઇએ.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ શબ્દ આપણા રાષ્ટ્રીયતા પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે. અરજીમાં સરકારને અનુચ્છેદ 1માં સુધારા માટે યોગ્ય પગલા લેતા ‘ઇન્ડિયા’ શબ્દ હટાવીને, દેશને ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કહેવા માટે વિનંતી કરવામાં આવી છે. આ અનુચ્છેદ ગણરાજ્યના નામ સંબંધિત છે.
આ અરજી દિલ્હીના એક રહેવાસીએ દાખલ કરી છે અને દાવો કર્યો છે કે આ સુધારો દેશના નાગરિકોને ભૂતકાળથી મુક્તિ અપાવશે.અરજીમાં 1948માં બંધારણ સભામાં બંધારણના ડ્રાફ્ટના અનુચ્છેદ 1 પર કરવામાં આવેલ ચર્ચાના આધારે કહેવામાં આવ્યું છે કે તે સમયે દેશનું નામ ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ રાખવા માટેની હિમાયત કરવામાં આવી હતી.
અરજી અનુસાર,આ અંગ્રેજી નામ બદલવું એ પ્રતીકાત્મક લાગે છે,પરંતુ તેને ભારત શબ્દથી બદલવું તે આપણા પૂર્વજોની સ્વતંત્રતાની લડતને યોગ્ય ઠેરવશે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ યોગ્ય સમય છે કે દેશને પોતાના મૂળ અને પ્રમાણિક નામ ‘ભારત’થી ઓળખવામાં આવે.

