ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણની કાર્યવાહી વધુ સમયબદ્ધ અને ડિજિટલ બનાવવાની નવી વ્યવસ્થા અમલમાં આવી છે. 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હેઠળ ચલણ જારી થયા બાદ તેને પડકારવા,ચુકવણી કરવા અને બાકી રકમના નિરાકરણ માટે અલગ-અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.નવી પ્રક્રિયા કેન્દ્રના સુધારેલા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળની જોગવાઈઓ સાથે સંકળાયેલી છે.નિયમો મુજબ ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચલણની જાણ સામાન્ય રીતે ત્રણ દિવસમાં,જ્યારે ભૌતિક માધ્યમથી ચલણ પહોંચાડવા માટે 15 દિવસ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
45 દિવસમાં ચલણ સામે વાંધો ઉઠાવી શકાશે
ચલણ મળ્યા બાદ સંબંધિત વ્યક્તિને 45 દિવસની અંદર ચલણ સ્વીકારીને દંડ ભરવાનો અથવા જરૂરી દસ્તાવેજો સાથે પોર્ટલ મારફતે તેનો વિરોધ કરવાનો વિકલ્પ રહેશે.જો આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારેલું માનવામાં આવશે.ત્યારબાદ સ્વીકારાયેલા ચલણની રકમ ભરવા માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવે છે.
વાંધો નકારાય તો કોર્ટનો વિકલ્પ
જો વાહનચાલક અથવા વાહનમાલિકે ચલણ સામે વાંધો રજૂ કર્યો હોય અને સંબંધિત સત્તાધિકારી તેને કારણો સાથે નકારી કાઢે તો નિયમ મુજબ દંડ ભરવા માટે 30 દિવસનો સમય મળે છે.આ નિર્ણયને કોર્ટમાં પડકારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.આવી સ્થિતિમાં નિયમોમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચલણની 50 ટકા રકમ જમા કરાવ્યા બાદ કોર્ટમાં અરજી કરવાની જોગવાઈ છે.
દંડ નહીં ભરો તો વાહન પર Not to be Transacted ફ્લેગ
નક્કી કરેલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ દંડની ચુકવણી કરવામાં નહીં આવે તો વાહનને પોર્ટલ પર Not to be Transacted તરીકે ફ્લેગ કરવામાં આવી શકે છે.આનો અર્થ એ છે કે બાકી ચલણનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંબંધિત વાહનના રજિસ્ટ્રેશન અથવા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કેટલીક વહીવટી અરજીઓ પર પ્રક્રિયા અટકી શકે છે. જોકે મોટર વાહનના કર સંબંધિત અરજીઓ માટે નિયમોમાં અપવાદ રાખવામાં આવ્યો છે.
વાહન જપ્તી અંગે પણ મહત્વની જોગવાઈ
નિયમોમાં ચોક્કસ પરિસ્થિતિમાં અને કોર્ટના આદેશને આધીન રહીને રાજ્ય સરકાર દ્વારા અધિકૃત પોલીસ અધિકારી અથવા અધિકારીને નિયમભંગ સાથે સંકળાયેલા વાહનને ડિટેઇન કરવાની સત્તા આપવામાં આવી છે.
પાંચ કે તેથી વધુ ઉલ્લંઘન કરનાર માટે લાયસન્સ પર કાર્યવાહી
વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ માટે અલગથી કડક જોગવાઈ છે.એક વર્ષના સમયગાળામાં પાંચ કે તેથી વધુ ઉલ્લંઘન નોંધાય તો ડ્રાઇવિંગ લાયસન્સ સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી થઈ શકે છે.
વાહનચાલકો માટે શું મહત્વનું?
નવી વ્યવસ્થામાં મુખ્ય બાબત એ છે કે ઈ-ચલણને અવગણવું હવે લાંબા ગાળે મુશ્કેલી ઊભી કરી શકે છે.વાહનચાલકોએ ચલણ મળ્યા બાદ તેની વિગતો તપાસવી,ભૂલ હોય તો નક્કી સમયમર્યાદામાં વાંધો નોંધાવવો અને બાકી દંડ હોય તો સમયસર ચુકવણી કરવી જરૂરી છે.


