નવી દિલ્હી : સરકારે વૈશ્વિક મોબાઈલ ડિવાઈસ ઉત્પાદકોને આકર્ષવા તથા સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ~50,000 કરોડની ઈન્સેન્ટિવ સ્કીમ મંગળવારે શરૂ કરી હતી.આઈટી અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારત શરૂઆતમાં ટોચની પાંચ વૈશ્વિક મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવા માગે છે અને તે સાથે જ પાંચ સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માગે છે.આ માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પ્રસાદે આ સ્કીમ જાહેર કરતા કહ્યું હતું કે “કુલ ~50,000 કરોડના ઈન્સેન્ટિવ મળશે.
વૈશ્વિક મોબાઈલ માર્કેટમાં 5-6 કંપનીઓ છે,જે 80 ટકા માર્કેટ પર કબજો ધરાવે છે.આરંભમાં અમે પાંચ કંપની પસંદ કરીશું.વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ સાથે મળીને ભારતને એક સારો મેન્યુફેક્ચરિંગ ટેલેન્ટેડ દેશ બનાવશે,જે ગ્લોબલ ચેઈનને પણ મજબૂત કરશે.અમે પાંચ ભારતીય કંપનીઓને પણ નેશનલ ચેમ્પિયન બનાવવા માટે પ્રોત્સાહન આપીશું.” તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં મોબાઈલ ઉત્પાદમાં બીજા ક્રમનો દેશ બની ગયો છે અને હવે તે નંબર-1 બનવાની દિશામાં આગળ ધપી રહ્યો છે.આત્મનિર્ભર ભારત એટલે ભારતને એકલું અટુલું કરવા કે સંકુચિતતાના અર્થમાં નથી,પરંતુ તેના દ્વારા ભારત પોતાની ક્ષમતા વધારે છે અને એક મજબૂત ઈકોસિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે,જે મજબૂત વૈશ્વિક સપ્લાય ચેઈન પણ બનાવે છે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડાયેલું છે.આત્મનિર્ભર ભારત કોઈ દેશની વિરુદ્ધ નથી.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી સેક્રેટરી અજયપ્રકાશ સોહનીએ કહ્યું હતું કે સરકારે 1 એપ્રિલે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન માટે ત્રણ સ્કીમ નોટિફાઈડ કરી હતી,જેમાં સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ (SPECS), મોડિફાઈડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ(EMC 2.0),અને મોટાપાયે ઉત્પાદન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI)નો સમાવેશ હતો.મંગળવારથી આ સ્કીમ શરૂ થઈ ગઈ છે.કંપનીઓ તેના માટે હવે અરજી કરી શકે છે.


