દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના 2.80 લાખ કેસ સામે આવી ચૂકયા છે અને 8102 લોકોના મોત થઇ ચૂકયા છે. દેશમાં લોકડાઉન 3.0 બાદથી કોરોનાની રફતારમાં તેજી આવી છે.આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થયા છે.જેમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દેશભરમાં 15 જૂનથી એકવખત ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે.
વાયરલ સમાચારમાં એમ પણ દાવો કરાયો છે કે ગૃહ મંત્રાલયે લોકડાઉન લાગૂ કરવાને લઇ સંકેત પણ આપી દીધા છે. જેમાં ટ્રેનો સિવાય વિમાનમાં મુસાફરી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાશે.આ વાયરલ સમાચાર પર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ Fact Check કર્યું. PIBએ વાયરલ મેસેજને સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક ગણાવ્યું.PIBએ Fact Check કરતાં ટ્વીટ કરી કે ‘સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલા એક ફોટોમાં દાવો કર્યો છે કે ગૃહમંત્રાલય દ્વારા ટ્રેન અને વિમાનમાં મુસાફરી પર પ્રતિબંધની સાથે 15મી જૂનથી દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી શકાય છે. #PIBFactcheck- આ #Fake है. ફેક ન્યૂઝ ફેલાવનાર આવા ભ્રામક ફોટોથી સાવધાન રહ્યા.’
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના લીધે પહેલી વખત 25મી માર્ચના રોજ 21 દિવસ માટે લોકડાઉન આપ્યું હતું. ત્યારબાદ લોકડાઉનનો બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે સુધી 19 દિવસનું અને ત્રીજા તબક્કામાં 4 મે થી 17 મે સુધી આપ્યું હતું. લોકડાઉન ચાર અને છેલ્લાં તબક્કામાં 18 મે થી 31 મે સુધી ચાલુ રહ્યું. ચોથા તબક્કા બાદ કેન્દ્ર સરકારે અનલોક 1ની જાહેરાત કરી.જેમાં કેટલીક બાબતોમાં છૂટ આપી હતી.જો કે અનલોક 1માં કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે.
ભારતમાં 4 જૂનથી કોરોના સંક્રમણના કેસમાં તેજી આવી
4 જૂન બાદ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં અચાનક તેજી આવી. 4 જૂનના રોજ પહેલી વખત દેશમાં કોરોનાના સૌથી વધુ 9304 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ સતત કોરોનાના નવા કેસ 9000થી વધુ નોંધાયા છે.છેલ્લાં 7 દિવસમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.