ગાંધીનગર : રાજ્યસભાની ચાર બેઠક માટે હાલ મતદાન ચાલી રહ્યું છે.આ દરમિયાન એનસીપી (NCP)ના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા મતદાન માટે આવી પહોંચ્યા હતા.મતદાન બાદ તેમણે ચોંકાવનારું નિવેદન કર્યું છે.ચોંકાવનારું એ માટે કે તેમણે ચૂંટણી પહેલા ભાજપને મત આપવાની વાત કરી હતી. જોકે, એનસીપી પાર્ટી તરફથી તેમને કૉંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવ્યું છે.મતદાન બાદ મીડિયાને સંબોધન કરતા કાંધલ જાડેજાએ જણાવ્યું છે કે, તેમણે પાર્ટીના આદેશ પ્રમાણે મતદાન કર્યું છે.
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે હતા કાંધલ જાડેજા
મીડિયા સામે પાર્ટી લાઇન પર વોટિંગ કર્યાંનું કહેનારા કાંધલ જાડેજા વોટિંગ માટે બીજેપીના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે આવ્યા હતા અને તેમની સાથે જ ગયા હતા. આથી તેઓ મીડિયા સામે ખોટું બોલી રહ્યાનું લોકો માની રહ્યા છે.કાંધલ જાડેજાએ કૉંગ્રેસને વોટ આપ્યો?
રાજ્યસભાની ચૂંટણી માટે વોટિંગ કરીને બહાર આવેલા કાંધલ જાડેજાએ જણાવ્યું કે, “મેં પાર્ટીના આદેશ પ્રમાણે વોટિંગ કર્યું છે. 2017માં પણ પાર્ટીના અધ્યક્ષના આદેશ પ્રમાણે મતદાન કર્યું હતું.હાલ કોને મત આપ્યો છે તે હું ન કહી શકું. કારણ કે તેનાથી ગુપ્તતા નથી રહેતી. પરંતુ પાર્ટીના આદેશ પ્રમાણે મેં મતદાન કર્યું છે.”
કાંધલનો વોટ ભાજપને જશે તો ભાજપનું ગણિત બગડશે
કાંધલ જાડેજાએ જેવી રીતે પાર્ટી લાઇન પર વોટિંગ કરવાનું નિવેદન આપ્યું છે ત્યારે ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.ભાજપના ત્રણેય ઉમેદવારોને જીત માટે 105ના વોટની જરૂર છે.ભાજપ પાસે 104 વોટ છે.કાંધલનો મત કૉંગ્રેસને પડે તો ભાજપે હવે વોટિંગ માટે બીટીપી પર જ આધાર રાખવો પડે.એટલે કે કાંધલનો મત કૉંગ્રેસને પડે તો ભાજપે બીટીપીના બંને ધારાસભ્યોને મનાવવા જ પડશે.
કાંધલ જાડેજાએ શંકરસિંહના આદેશની ભાજપને વોટનું નિવેદન આપ્યું હતું : જયંત બોસ્કી
આ મામલે વાતચીત કરતા એનસીપીના ગુજરાત અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, “પાર્ટીએ કાંધલ જાડેજાને કૉંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વ્હીપ આપ્યું છે. મને ખાતરી છે કે તેઓ પાર્ટીના વ્હીપનો અનાદર નહીં કરે.” કાંધલ જાડેજાએ ભાજપને વોટ આપવાનું નિવેદન આપવાનું જણાવ્યું હોવા અંગે જયંતી બોસ્કીએ જણાવ્યું હતું કે,કાંધલ જાડેજાએ શંકરસિંહ વાઘેલાના આદેશથી કાંધલ જાડેજાને ભાજપમાં વોટિંગ કરવાનું નિવેદન આપ્યું હતું.


