સુરતઃ કોરોના વાયરસની મહામારીની અસર વૈશ્વિક સ્તરે પડતાં હીરા-ઝવેરાત ઉદ્યોગને ભારે નુકસાન થયું છે.ગત મે મહિનામાં પોલિશ્ડ ડાયમંડની (Polished Diamond) નિકાસમાં 77.42 ટકા જ્યારે સોનાના ઝવેરાતની નિકાસમાં 92 ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે,મે 2019ની સરખામણીએ મે 2020માં હીરા-ઝવેરાતની નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે.
મે 2019માં પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ 13033.41 કરોડ રૂપિયા હતું, જે મે-2020માં 2943.18 કરોડ રહેવા પામ્યુ છે.ઉપરાંત, મે-2019માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 7927.47 કરોડ હતી.જે મે-2020માં 92% ઘટીને 634.38 કરોડ પૂરતો જ સિમિત રહ્યો છે. આ સાથે કુલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં મે-2019ની સરખામણીમાં મે-2020માં 82.31% ઓછું એક્સપોર્ટ નોંધાયું છે.
નોંધનીય છે કે, 2020ની શરૂઆતથી જ ચાઈનામાં કોરોના વાયરસની ઇફેક્ટ શરુ થઇ હતી.જેની અસર આજે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.ભારતમાં માર્ચ થી મે દરમિયાન લોકડાઉનના કારણે દેશના વિવિધ ઉદ્યોગોની સાથો સાથ સુરત મુંબઈના ડાયમંડ ઉદ્યોગને મોટી અસર થઇ છે.
હજુ પણ વિવિધ ડાયમંડ માર્કેટો શરુ થયા નથી,જેના લીધે ડિમાન્ડ સપ્લાયની ચેઇન પુનઃ સ્થાપિત થઇ શકી નથી.હજુ પણ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ સરેરાશ 15થી 20 ટકા હોવાનું ઉદ્યોગકારો પાસેથી જાણવા મળ્યું છે.આગામી દિવસોમાં પણ માર્કેટ રાબેતા મુજબ થાય તેવી કોઈ આશા નથી જેથી વેપારીઓ પણ ચિંતામાં છે.