નવી દિલ્હી તા.1 : ભાજપ રવિવારે પોતાના સોશ્યલ મીડીયા એકાઉન્ટ પર હિંદુ શરણાર્થીઓનાં દર્દનાક અનુભવને વ્યક્ત કરતી એક ડોકયુમેન્ટ્રી જાહેર કરશે.આ શરણાર્થીઓ પશ્ર્ચિમ પાકીસ્તાનના છે અને જમ્મુ-કાશ્મીરમાં રહી રહ્યા છે.ભાજપે શુક્રવારે ટિવટ કરીને જણાવ્યું કે, ‘તેઓ એક આઝાદ દેશમાં ગુલામ હતા પરંતુ હવે 370 કલમની નાબૂદી પછી નહીં…! દસકો સુધી આ લોકોના દર્દનાક અનુભવ અને સંઘર્ષને જુઓ… એક, બે અને ત્રણ ઓગષ્ટના રોજ રાત્રે 9 વાગ્યે.’
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 5 ઓગષ્ટનાં રોજ જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવામાં આવી હતી ત્યારથી કેન્દ્ર સરકાર હિન્દુ શરણાર્થીઓને અનેક અધિકાર આપવા માટે કામગીરી કરી રહી છે. ભાજપે તત્કાલ ત્રણ તલાકનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ,તૃણમુલ કોંગ્રેસ અને દ્રમુક જેવી પાર્ટીઓ પર નિશાનો સાધ્યો હતો.ભાજપે કહ્યું કે,આ પાર્ટીઓ મુસ્લીમ મહિલાઓ વિરુદ્ધ હતી અને ઈતિહાસ તેમને યાદ રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદે આ બિલ ગત વર્ષે 30 જુલાઈએ પસાર કરવામાં આવ્યું હતું.હજુ ગઈકાલે જ વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અઠવાડીયાની શરુઆતમાં અફઘાનીસ્તાનથી આવેલા શિખ અને હિન્દુ સમુદાયનાં લોકોને ભારતમાં સ્થાયી નિવાસ માટે વર્તમાન નિયમો અને નીતિઓ અનુસાર વિચાર કરવામાં આવશે અને તેમની વ્યવસ્થા કરવામાં આવશે.
મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે,સરકાર અન્ય લોકોના પણ સંપર્કમાં છે જે અફઘાનીસ્તાનથી આવવા માંગે છે અને તેમના આવવા માટેની વ્યવસ્થા પણ કરશે. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જણાવ્યું હતું કે,દિલ્હીમાં રહેતાં પાકીસ્તાની હિન્દુ શરણાર્થીઓને લાંબાગાળાનાંવિઝા આપવામાં આવશે અને તેમને ભારતમાં રહેવા માટે સક્ષમ બનાવવામાં આવશે.