– રાજયના તમામ મંત્રીઓ બે-બે જીલ્લાના પ્રવાસ કરશે: સમસ્યાઓના ઉકેલનો પ્લાન: જીલ્લા કક્ષાએ બેઠકો યોજશે
– 2022 ના અંત પૂર્વે તમામ પ્રોજેકટ પૂરા કરવાની ચિંતા: જીલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજે છે
– દિપાવલી બાદ સંગઠનની જીલ્લા યાત્રા: કમલમ અને સ્વર્ણિમ સંકુલથી ખાસ મોનેટરીંગ થશે
ગુજરાતમાં 2022ના ડિસેમ્બરમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વેજ ગરમ બનેલા રાજકીય વાતાવરણમાં એક તરફ રાજયમાં પગપેસારો કરીને તેનો બેઝ મજબૂત બનાવવા માટે ‘જનસંવેદના યાત્રા’ પણ પ્રારંભ કરી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પણ વધશે તે નિશ્ચીત છે.તો બીજી તરફ કોંગ્રેસે હવે થોડી આળસ ખંખેરીને સંગઠન પ્રભારીની રચનાની રાહમાંથી બહાર આવીને જીલ્લા કક્ષાએ કાર્યવાહી બેઠકો યોજવા તથા તા.7થી14 જુલાઈના ગાળામાં મોંઘવારી સહીતના મુદે રાજયમાંથી દેખાવો અને ધરણા કરવાની જાહેરાત કરી છે તો કોરોનાની બીજી લહેર તથા આરોગ્ય ક્ષેત્રની ખામી ખુલ્લી પડતા છેક ગ્રામ્ય વિસ્તાર સુધી તેની અસર છે અને વધુ એક મહત્વના ફેરફારમાં હવે વેકસીનના મુદે પણ પુરતા ડોઝ ઉપલબ્ધ નહી બનાવી શકતા સરકાર ભીસમાં છે.તેઓ આગામી ચૂંટણીમાં એન્ટી ઈન્કમબન્સીનું ફેકટર મજબૂત થાય તે પૂર્વેજ ડેમેજ કંટ્રોલમાં હવે ગુજરાત સરકારના કેબીનેટ સહીતના મંત્રીઓ આગામી દિવસોમાં જીલ્લાઓના પ્રવાસ કરીને લોકોની સમસ્યા સાંભળશે તેના ઉકેલના પ્રયાસો કરશે અને એક વખત મંત્રીઓના પ્રવાસ પુરા થાય કે દિપાવલી પછી ભાજપના સંગઠન પદાધિકારીઓ પણ રાજયભરમાં ફરી વળશે.ગઈકાલે ગુજરાતમાં કેબીનેટની મળેલી બેઠકમાં ઔપચારીક ચર્ચામાં દરેક મંત્રી તેમના મતક્ષેત્ર સહીતના બે જીલ્લામાંથી નિયમિત રીતે મુલાકાત લેશે તે નિશ્ચીત કરાયું છે.આ માટેની એક બ્લુ પ્રીન્ટ જીલ્લા કક્ષાએ સરકારી તંત્ર અને ભાજપની મદદથી તૈયાર થશે.
મંત્રીઓ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં પહોંચીને સ્થાનિક સમસ્યાઓ જાણશે અને જીલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને તે ઉકેલવાના પ્રયાસો કરશે.આ ઉપરાંત દિપાવલી બાદ રાજયના તમામ નાના મોટા માર્ગોનું રીકાર્પેટીંગ અને નુકશાન મુજબ સમારકામ વિ. કામગીરી માટે તૈયાર રહેવા જાહેર બાંધકામ મંત્રાલયને જણાવ્યું છે. દરેક જીલ્લાના હાલના પ્રોજેકટ તથા નવી યોજનાના પ્રોજેકટની સમીક્ષા થશે અને ડીસેમ્બર 2022 પૂર્વે તે તમામ પુરા થાય તે પણ જોવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ દરેક મંત્રીઓ જે પ્રભારી મંત્રી તરીકે ફરજ બજાવે છે.તેઓને નજીકના એક જીલ્લાએ રાજયકક્ષાના મંત્રીઓ સાથે રાખીને પ્રવાસ કરવા જણાવ્યું છે અને ભાજપના ધારાસભ્યો જીલ્લા-તાલુકા સ્તરના પદાધિકારીઓ પણ સાથે રખાશે.


