રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે.જોકે સરકારે 16 લાખ રૂપિયા પગાર અને 16 લાખ રૂપિયા ગ્રેજ્યુટી ન ચૂકવતા જળસંપતિ વિભાગના સચિવને પત્ર લખ્યો છે.જેમાં પણ તેને પોતે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો છે.
રમેશચંદ્ર ફેફરે પત્રમાં લખ્યું છે કે, ”સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે.આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કરેલ છે અને આ રીતે કોરોના કાળમાં કામ કરેલા લોકોને સરકાર પગાર ચૂકવે જ છે.”
વધુમાં તેને પત્રમાં લખ્યું છે કે, ”હું કલ્કિ અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષ થી સતત સારો વરસાદ ભારતમાં થાય છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલો નથી.છેલ્લા 20 વર્ષના સારા વરસાદને કારણે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થયો છે.તેમ છતાં સતત રાક્ષસો સરકારમાં બેસીને અન્યાય કરે છે. આથી સમગ્ર વિશ્વમાં હું પાણીનો,બરફનો અને વરસાદનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું.”
રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે, “કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં” તેવો દાવો કર્યો હતો. વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે,”આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.
કોણ છે આ રમેશચંદ્ર ફેફર?
રમેશચંદ્ર ફેફર રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે.સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં અધિકારી રહી ચૂક્યા છે.વડોદરામાં અધિક્ષક ઈજનેર તરીકે તેમને 1.25 લાખ રૂપિયા પગાર ચુકવવામાં આવતો હતી. 2018માં તેમને સરકારે નોટિસો ફટકારી હતી.તેનું કારણ હતું કે, તે ઓફિસમાં હજાર રહેતા નહોતા અને ઘરે સાધના જ કરતા હતા.હાલ નિવૃત છે અને સરકાર પાસે જૂનો લેવાનો પગાર અને ગ્રેજ્યુટીની માંગ કરી રહ્યો છે.
રમેશચંદ્ર ફેફર સામે માનસિક ત્રાસની નોંધાઈ ચુકી છે ફરિયાદ
એવુ નથી કે, રમેશચંદ્રએ આ પ્રકારનો દાવો પ્રથમ વખત કર્યો હોય.આ અગાઉ પણ તેની પત્નીને અસુરી શક્તિઓ મારી રહ્યા હોવાનો કહીને તેની પત્નીને છ – છ વખત માર માર્યો હતો અને તેની પત્નીએ પણ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તેનાં વિરૂદ્ધ માનસિક ત્રાસની કલમ 498 હેઠળ ફરીયાદ નોંધાવી હતી.રમેશચંદ્ર ફેફરનાં આ દાવાથી તેનાં પરિવારજનો અને આસપાસનાં રહેવાસીઓ પણ ત્રસ્ત થઇ ગયા છે.તેનાં પત્ની અને પુત્ર તો તેનાંથી દુર દિલ્હી વસવાટ કરી રહ્યા છે.


