– કાળાં નાણાંના કાળા કારોબારનું કૌભાંડ
– બિનહિસાબી વહેવારોમાં નાના માણસોના નામ જોતાં બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ પણ બિલ્ડરના પ્રમોટરો સામે તપાસ થવાની સંભાવના
– છ સ્થળો પર હજી દરોડા ચાલુ, 14 સ્થળો પર કાર્યવાહી સમેટાઈ 14 લોકર સીલ કરાયા
અમદાવાદ : અમદાવાદના આવકવેરા 125 જેટલા અધિકારીઓએ આઠ સપ્ટેમ્બરે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં નીલા બિલ્ડર્સ ગુ્રપના પ્રમોટર,ડિરેક્ટર્સ સહિતના હોદ્દેદારોના બોડકદેવ સ્થિત ઑફિસ અને ઘર સહિત 20 સ્થળો પર પાડેલા દરોડાના ત્રીજા દિવસને અંતે તેમને રૂા. 1000 કરોડના બિનહિસાબી વહેવારો મળી આવ્યા છે.
જમીનના માલિક દ્વારા જમીન પર વિકાસના કામો કરવા માટે ડેવલપરને અપાયેલા અધિકારોના ભાગરૂપે મેળવવામાં આવેલા બિનહિસાબી રૂા. 500 કરોડના વહેવારો, રૂા. 350 કરોડના રિયલ એસ્ટેટમાં થયેલા ઓન મની ટ્રાન્ઝેક્શનના વહેવારો તથા રોકડેથી લેવામાં આવેલી લોનના વ્યાજ પેટે ચૂકવવામાં આવેલા રૂા. 150 કરોડના વ્યાજના વહેવોરોનો સમાવેશ થાય છે.
કંપનીના એક મુખ્ય માલિક અને બે બ્રોકર જયેશ પૂજારા અને દિપક ઠક્કર પરની દરોડાની કાર્યવાહી હજી ચ ાલુ જ છે. આ દરોડા દરમિયાન 14 લોકર સીલ કરવામાં આવ્યા છે.આ લોકર આગામી સોમવારથી ઓપરેટ કરવામાં આવે તેવી સંભાવના છે.આવકવેરા ખાતાએ કરેલી તપાસમાં મળેલા વાંધાજનક દસ્તાવેજો, છૂટાં કાગળો, ડિજિટલ પુરાવાઓ પરથી ફલિત થઈ રહ્યું છે કે નિલા લિમિટેડના પ્રમોટરોએ રૂા. 1000 કરોડના બિનહિસાબી વહેવારો કર્યા છે.
આ દરોડા દરમિયાન રોકડ તો ઘણી મળી છે, પરંતુ તેમાંથી 1 કરોડની રોકડનો હિસાબ રજૂ કરી શક્યા નથી. તેમ જ રૂા. 2.70 કરોડના બિનહિસાબી દાગીનાઓ પણ મળી આવ્યા છે.આ લખાય છે ત્યારે 20માંથી 5થી 6 સ્થળને બાદ કરતાં અન્ય 14થી 15 સ્થળો પરની દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે. આવકવેરા ખાતા દ્વારા દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી વ્યક્તિઓમાં અશોક ભંડારી,વાસંતી જગદીશ પાવરા,જગદીશ ગોવિન્દભાઈ પાવરા,પ્રશાંત હિમ્મતભાઈ સરખેડી,શીતલ ચુનીલાલ ઝાલાનો સમાવેશ થાય છે.
આ વ્યક્તિઓના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેના અનુસંધાનમાં કંપની સામે બેનામી પ્રોપર્ટીઝ એક્ટની જોગવાઈ હેઠળ પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે, તેવો નિર્દેશ પણ આવકવેરા કચેરી તરફથી મળી રહ્યો છે.દરોડાને લગતાં તમામ દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કર્યા પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે એમ આવકવેરા કચેરીના સૂત્રોનું કહેવું છે.દરોડાના સંદર્ભમાં યોગેશ કનૈયાલાલ પૂજારા અને દિપક અજિતકુમાર ઠક્કર સામે પણ મોટી ટેક્સ ભરવાની જવાબદારી ઊભી થવાની સંભાવના છે.યોગેશ પૂજારા અને દિપક ઠક્કર લેન્ડ ડીલર છે.
દરોડા દરમિયાન તેમને ત્યાંથી પણ જમીન અને મિલકતને લગતા વાંધાજનક દસ્તાવેજો અને તેમાં લેવામાં આવેલા બિનહિસાબી નાણાંને લગતા દસ્તાવેજો હાથ લાગ્યા હતા. આવકવેરા ખાતાના અધિકારીઓએ બિનહિસાબી નાણાંના કરવામાં આવતા વહેવારોનો અંદાજ મેળવવા માટે તેમની કચેરીના માણસોને બિલ્ડરના જુદાં જુદાં પ્રોજેક્ટ્સ પર મોકલ્યા હતા.ત્યારબાદ પાડેલા દરોડામાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સને લગતા રૂા. 500 કરોડથી વધુ રકમના વહેવારો પકડી પાડવામાં સફળતા મળી છે. આ જ રીતે રિયલ એસ્ટેટના સોદાઆમાં રૂા. 350 કરોડના ઓનમનીના થયેલા વહેવારોને લગતા પુરાવાઓ પણ દરોડા પાડનારા આવકવેરા અધિકારીઓએ જપ્ત કર્યા છે.
મિલકતના સોદાઓમાં તેમણે રોકડમાં લીધેલા એડવાન્સ નાણાંને લગતાં વહેવારો પણ પકડી પાડવામાં આવકવેરા અધિકારીઓ સફળ થયા છે. નિલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોટર્સે રોકડમાં લીધેલી લોનના વ્યાજ પેટે રૂા. 150 કરોડના વ્યાજની રોકડેથી કરેલી ચૂકવણીના પુરાવાઓ પણ આવકવેરા ખાતાના અધિકારીઓએ મેળવ્યા હતા.
તેમને રોકડમાાં થયેલી આવકના અને તેમ જ રોકડેથી કરેલા રિપેમેન્ટને લગતાં પુરાવાઓ પણ મળી આવ્યા હતા.આવકવેરા ધારાની કલમ 153 રદ કરી દઈને તેને સ્થાને કલમ 148માં સુધારા કરીને તેને વધુ ચુસ્ત બનાવી હોવાથી આ કંપનીના છ નહિ, પણ દસ વર્ષના હિસાબોની ચકાસણી થવાની પણ સંભાવના વધારે છે.નિલા લિમિટેડમાંથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની બારીકાઈ પૂર્ણ ચકાસણી ચાલુ કરવામાં આવી છે.


