ગાંધીનગરમાં નવા મંત્રીઓના શપથવિધિ સમારોહના ધમધમાટ વચ્ચે એક મોટી રાજકીય હલચલ થઈ છે.શપથવિધિ સમારોહની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી છે.જેમાં રાજીનામુ આપનાર વિજય રૂપાણી,નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે.જેમને મનાવવા માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.એટલુ જ નહિ, આ રિસામણા-મણામના વચ્ચે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે.
ભાજપમાં નારાજ નેતાઓનું લિસ્ટ લાંબુ થઈ રહ્યુ છે.તેમ છતાં પક્ષના ઓર્ડરને શિરોમાન્ય ગણવાની આદત પડી ગઈ છે.ત્યારે હવે નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના વચ્ચે કેટલાક નેતાઓની નારાજગી સામે આવી રહી છે.હાલ નારાજ નેતાઓમાં વિજય રૂપાણી,નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ ચર્ચામાં છે.ત્રણેય નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી.
ગઈકાલે વિજય રૂપાણી,નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો મનાવવાનો પ્રયાસ કરાયો છે.જેમાં સૌથી પહેલા દોઢ કલાક વિજય રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી હતી.એ દરમિયાન નીતિન પટેલ,ચૂડાસમાને પણ બોલાવવામાં આવ્યા હતા.લગભગ દોઢ કલાક સુધી બી.એલ. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવે ત્રણેય નેતાઓ સાથે ચર્ચા કરી હતી.આમ, આ મુલાકાત બાદ પણ કોઈ મોટા ચેન્જિસ આવે તેવી શક્યતા છે.
નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યા
હાલ ગુજરાત ભાજપમાં સૌથી નારાજ નેતાઓમાં નીતિન પટેલ આગળ છે.ત્રણવાર મુખ્યમંત્રી પદના રેસ માટે નામ આગળ હોવા છતા તેમના મોઢા પાસે આવેલો કોળિયો છીનવાયો હોય તેવુ બન્યું છે.આવામાં નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાને પણ મળ્યા હોવાના અહેવાલ છે.ભાજપના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી.આખરે નીતિન પટેલ કેમ શંકરસિંહ વાઘેલાના મળવા પહોચ્યા તે જાણવામાં પક્ષના નેતાઓ લાગ્યા છે.
હાલ આ નારાજગી જોતા નવા મંત્રીમંડળમાં નીતિન પટેલના નામની બાદબાકી થાય છે કે નહિ તે મોટો સવાલ છે.તો બીજી તરફ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના માથા પર પણ લટકતી તલવાર છે.આ ઉપરાંત પક્ષ વિજય રૂપાણી માટે શું નિર્ણય કરે છે તે હજી જાહેર કરાયુ નથી. આ વચ્ચે આ ત્રણેય દિગ્ગજોની નારાજગી ભાજપના સમીકરણો બદલી શકે છે.


